હિંદની નારી
હિંદની નારી
માનવીય જીવન હંમેશને માટે પ્રશ્ન કે ટીકાનો વિષય રહ્યું છે. આમ તો માનવીનાં વ્યવહારમાં એવી વાત ફરતી રહે છે કે 'માનવીને કોઈ વાતનો સંતોષ નથી હોતો.' વાત સાચી પણ એથી જ કદાચ માનવીનું જીવન ટકી રહેતું હોય છે.
સંઘર્ષને માનવી જો મિત્ર બનાવે તો જ કદાચ હાલકડોલક થઈને પણ જીંદગી નિશ્ર્ચિત પાટે ચડી જતી હોય છે. પણ સંઘર્ષ અને કઠિનાઈથી માનવીને છત્રીસનો આંકડો. કેટલાક પોચાં હૈયાવાળાં તો રડી પણ જાય. અને કદાચ ના છૂટકે ભગવાન સામે મદદની ભીખ માંગે. અને ઈશ્વર આવે તો મોડો આવે કે પછી ઘસીને ના પાડી દીધી હોય એવું લાગે. પણ દુનિયા નાની નથી. એકલા ઈશ્વર સામે મદદ માંગનારા જ નથી, કંઈક એવા પણ છે જેને જીંદગી વિશે આવા આડકતરા રસ્તા શોધવાનું સૂઝે જ નહી. તેઓ ખબર નહી પણ અંત સુધી હિંમત નથી હારતાં. અને એવું પ્રચલિત છે કે ઈશ્વરને એવા લોકો બહુ જ ગમે છે.
એવું જ એક મનીખ એટલે લતા. દેખાવે શ્યામ પણ ઘાટીલો ચહેરો. ગરીબ પરિવારમાં જન્મેલી લતાને સામાજિક કુરિવાજોમાં હડસેલાઈને પોતાને એવાં અપરિચિત, અભણ અને વ્યસની સમીર સાથે પરણવું પડ્યું. અને ગરીબ પરિવારોમાં તો દિકરી વળાવી એટલે પૂરું ! મા-બાપે ટગર ટગર સાથ આપ્યો પણ શરાબી સમીરને આટલો સાથ ખપતો નહોતો. એની જરૂરીયાતો વધતી જઈ રહી હતી. હવે તે લતાને મારઝૂડ પણ કરતો અને 'કાળી કબૂતરી' એવાં કવેણ પણ બોલતો.
લતા બધી વાતની જાણ મા-બાપને કરી પણ એમનાં પેટનું પાણી નહોતું હલતું. ભાઈભાંડુ પોતપોતાનું કરીને બેસી ગયાં હતાં. દીકરીનાં આંસુ લૂછનાર કોઈ નહોતું. અને વધારામાં પૂરું ત્રણ છોકરાંની 'મા' બની ગઈ. જે દરેક ગરીબનાં ઘરે થતું આવતું હોય છે. હરામ હાડકાંનો સમીર છોકરાંના પેટનો ખાડો પૂરવાનો તો ક્યાય રહ્યો ઉપરથી લતા જે કંઇ મજૂરી કરીને લાવે એ ઝૂંટવી લેતો.
લતાએ વેઠ્યું પણ એની હદ આવી ત્યારે નાછૂટકે એનાથી છૂટાં થવાની વાત કરી. મા-બાપને કહ્યુ તો કહે," અહી તારો પડછાયો પણ ના જોઇએ. જ્યાં પરણાવી ત્યાંથી જ તારી ઠાઠડી કાઢજે." મા-બાપના શબ્દો એને માટે કમાનથી છૂટેલાં તીર કરતાં વધારે ઘાતક હતાં.પણ લતાનો ફેંસલો અડગ હતો. પોતે ત્રણ છોકરાં લઈને બાજૂનાં શહેર જેવાં નગરમાં ચાલી ગઈ. સમીરને આ વાતની જાણ એની માએ કરી. એ સાંભળી એ તરત ત્યાં ગયો. અને ત્યાં જઈને અભદ્ર ગાળો બોલી.અને મારવાનું ચાલું કર્યું. પણ તે નગરનાં શાહુકારોએ આ જુલમ જોવાયો નહીં ને સમીરને ઉલટાનો મારવાં લીધો. ગભરાઈને તે ભાગ્યો. પણ જતાં જતાં કહે કે, "રહેજે ! તારા આ બધાં ભાયડાં જોડે !"
લતાં રડતી રડતી નીચે પડી જાય છે. અને મૂર્છિત જેવી થઈ જાય છે. શાહુકારોએ તરત એની સારવાર કરાવી અને કહ્યું ,"બેટા ! તું તારે તારી મરજી પડે ત્યાં રહે.અને જે જરૂર પડે તે કહેજે !"
લતાં સ્વસ્થ હતી અને આશરો મળતાં જીવમાં જીવ આવ્યો. તેને થોડાક જ દિવસોમાં વૃક્ષોનાં 'કટલાં'થી નાનું છાપરું બનાવ્યું. જે બિલકુલ શાહુકારોના ઘર પાછળ હતું, જેથી એને હૂંફ રહે. કયારેક એ મનોમંથન કરતી કે એને કર્યુ એ સાચું છે કે ખોટું, પણ પછી નાનાં બાળકો જોઈને બધું ભૂલી જતી.અને યાદ રહેતું તો માત્ર ને માત્ર એમનું ભવિષ્ય. હવે લતાની જીંદગીની બીજી ઈનિંગ્સ શરૂ થઈ. કદી ના હારતી ભારતીય નારીનું એ રૂપ જોવાં જોવાં જેવું હતું. શરૂ શરૂમાં એને શાહુકારોને ત્યાં જ કચરાં પોતું કરતી. અને એનાથી એનું અને ત્રણ બાળકોનું જીવન ચાલી જતું. પણ સમય ક્યાં રોકાય છે.થોડાક જ વખતમાં છોકરાંઓ મોટાં થયાં.
લતાનું સ્વપ્નું હતું કે એના છોકરાંને ખૂબ ભણાવીને ખૂબ મોટાં માણસ બનાવે. તેથી એ એમની જરૂરિયાતોને ક્યારેય પણ અપૂર્તિ ના રહેવા દેતી. એક મા અને બાપનું પાત્ર ભજવીને એ ઈશ્વરને નજરે ચોક્કસ ચઢી ગઈ હશે ! હવે બાળકોની જરૂરીયાત કચરાં પોતાં કરવાથી પૂરી થાય એમ નહોતી. ત્યાં બાજુમાં જ એક દિવસ શાહુકારને ત્યાં ધાબું ભરવાની કડિયાં અને મજૂરોની ગેંગ આવી. કોઈએ કહ્યુ 'એક મજૂર ખૂટે છે !' તેથી શાહુકારે બૂમ પાડીને લતાને બોલાવીને કહ્યું, "લતાં આજનો દિવસ આમની જોડે 'રેત' ઉપાડજે ને ! એ લોકો તને મજૂરી પણ આપશે અને મારું કામ પણ ઝડપથી થશે."
લતાને તો કામની જરૂર જ હતી ત્યાં માંગ્યું મળ્યું એવું થયું. લતા કામ ઉપર જાય છે અને 'રેત' ઉપાડવાનું શરૂ કરે છે. પણ અચાનક ધાબે મશીનમાં કોન્ક્રીટ ચડાવનાર મજૂર ઘાયલ થાય છે. જે ઘણાં તાકતવાળાંનું કામ છે. હવે કામ અટકી પડ્યું.પણ લતાં જોમ ભરેલું હૈયું લઈને આવે છે અને શેઠને કહે છે, "શેઠ ! હું ખેંચીશ આ ટ્રોલી !"
બધા દંગ રહી ગયાં પણ એક માની તાકત ભળે તો ટ્રોલીની શું બિસાત ! એને આખું ધાબું ભરાવ્યું .અને એ ઘડી ને એ દિવસ એનાં જીવનમાં પરિપક્વ થવાંનો મોકો આપે છે. અને એને એ મોકો ઝડપી લીધો. કેવળ ધાબાનું કામ જ નહી કોઈ પણ જગ્યાએ કામ મળી રહે ત્યાં તે જતી અને ભાંખડીયે રમતાં બાળકોને એનાં ખભા સુધી આવે એવડાં જવાન કરી દીધાં.
ત્યાં સમીરની મા મરી ગઈ હતી.અને પછી તે વધુ દારૂડિયો બનીને એક પાગલની જેમ ફરતો પણ એની જવાનીને દારૂએ ચૂસી લીધી હતી. હવે એ અન્યોને સહારે જીવે એવો થઈ ગયો હતો. કયારેક ભૂલ્યો ભટક્યો આવે તો લતા એને રાખતી પણ પછી એ સંબંધો ના કેળવી શક્યો. એનો સંબંધ તો માત્ર દારૂ સાથે હતો. તેથી તે જતો રહેતો. ત્યાં વધું રોકાતો નહોતો.
હવે એને છાપરાંની જગ્યાએ પાક્કું ઘર પણ બનાવ્યું હતું. ને બે દીકરીઓ ઉષા અને નિષાને કન્યા શાળામાં ભણવા મૂકી છે. જે બંને હોંશિયાર છે. અને નિશાળમાં શિક્ષકોની લાડકી પણ. મોટો દીકરો સુનિલ હાઈસ્કૂલમાં છે. જે ભણવામાં મઘ્યમ પણ એની મમ્મી લતાને ઘર ચલાવવામાં મહેનત કરાવે છે.નિશાળેથી આવી મમ્મીને સાંજે શાકભાજીની લારીએ મદદ કરે છે.સાંજે સૌ સાથે મળીને જમે છે અને લતા સુશિલ તથા દીકરીઓને ભણવાં માટેની પ્રેરણા પૂરી પાડતી રહે છે .
એકલી અટૂલી સ્ત્રીને જીવવું અને સાથે ત્રણ ત્રણ છોકરાંનો મરદની માફક ઉછેર કરવો, એ મરદને પણ શરમાવે એવી ગહન વાત છે. આજે પણ જ્યારે નગરમાં કોઈ બાળકો કે દીકરીઓ અવળાં રસ્તે ચાલે તો દરેક જણ લતા અને એનાં જીવનનો દાખલો અચૂક યાદ કરાવે છે.
ધન્ય છે હિંદની નારી ને !