સાધુનો વેશ
સાધુનો વેશ
એક ચોર એક દિવસ રાજાના મહેલમાં ચોરી કરવા ગયો. ચોરે વિચાર્યું કે, આજે અહીં મોટી ધાડ પાડી દઉં તો ઘણાં દિવસો સુધી નિરાંત.
રાત પડી, ચોર તો ઘૂસ્યો રાજમહેલમાં. રાજા-રાણી વાતો કરતા હતાં કે ,'ગંગા નદીના કિનારે કેટલાંક સાધુઓ આવ્યાં છે. આપણી દીકરી પરણવા લાયક થઈ ગઈ છે અને ઘણાં મુરતિયાઓ બતાવ્યા પણ, ના જ પાડે છે. તો કાલે આપણે આપણી દીકરી માટે મુરતિયાની શોધમાં ત્યાં તપાસ કરાવીએ.' ચોરે આ વાત સાંભળી અને વિચાર્યું કે લાવ ને હું પણ સાધુનો વેશ ધારણ કરીને ત્યાં બેસી જાઉં. જો મને રાજકુંવરી પસંદ કરે તો મારો બેડો પાર. અને ચોરે સાધુનો વેશ ધારણ કરી ગંગા કિનારે બેસેલા સાધુઓ જોડે જઈને ધ્યાનમાં બેસી ગયો.
સવાર પડી. રાજાના સૈનિકો ઉપડ્યા ગંગા નદીના કિનારે. બધા સાધુઓ તો ધ્યાન મગ્ન હતા. રાજાના સૈનિકોએ બધાં જ સાધુઓ ને સંબોધીને ,'રાજાની કુંવરી સાથે કોણ લગ્ન કરવા તૈયાર છે? ' આ વાત કરી. પરંતું બધાં જ સાધુઓ ધ્યાન મગ્ન હતા. સાધુ બનેલ ચોર હતો તે થોડી થોડી વારે આંખો ખોલીને જોતો હતો. પરંતું બાકીના સાધુઓને ધ્યાનમગ્ન બેઠેલાં જોઈને તે પણ ચૂપ ચાપ બેસી રહ્યો. કંઈ જ બોલ્યો નહિ. સૈનિકો નીકળી ગયા. રાજાને જઈને સઘળી હકીકત જણાવી. આને અંતે એ પણ જણાવ્યું કે, બધાં જ સાધુઓ તો ધ્યાન મગ્ન હતા પરંતુ એક સાધુ થોડી થોડી વારે આંખો ખોલીને જોતો હતો. કદાચ તેને સમજાવવાથી તે આવી જાય તેમ લાગે છે. સૈનિકોની વાત સાંભળી, રાજા એ કહ્યું, એવું હોય તો હું કાલે રૂબરૂ જઈને મળીશ.
બીજે દિવસે રાજા પોતે ગંગા નદીના કિનારે, જ્યાં સાધુઓ ધ્યાન મગ્ન બની બેઠા હતા ત્યાં ગયા. રાજા સીધા જ પેલા સાધુ બનેલ ચોર પાસે ગયા અને પ્રણામ કર્યા, બે હાથ જોડી વિનંતી કરી કે, મારી દીકરી માટે તમારો હાથ માંગવા આવ્યો છું. આ વખતે પેલા સાધુ બનેલ ચોરે આંખો ખોલી નહીં અને ધ્યાન મગ્ન જ રહ્યો. અને મનોમન વિચારવા લાગ્યો કે, આ સાધુનો વેશ ધારણ કરવાથી આ સમ્રાટ મારી પાસે સામે ચાલીને આવ્યો છે. આ વેશની આટલી બધી કિંમત ! ચોરને થયું, જો હું આ સાધુનો વેશ સદાયને માટે ધારણ કરીને રાખું તો, આ સમ્રાટનો સમ્રાટ સ્વયં પરમાત્મા ને પામી શકું. અને એ જ ક્ષણથી ચોરે નક્કી કર્યું કે, હવે તો આ સમ્રાટના સમ્રાટ ના દર્શન કરી ને જ આ આંખો ખોલીશ.
ચોરે આત્મમંથન કર્યું અને રાજાની સામે તેણે પણ અન્ય સાધુઓની જેમ આંખો ખોલી નહીં. ચોરનું જીવન સુધરી ગયું. રાજા પણ ચોરને નમસ્કાર કરી ત્યાંથી નીકળી ગયા.