જનારના ગયા પછી
જનારના ગયા પછી
'ફ્યુનરલ'ની વાત આવે એટલે મને દસમાં ધોરણમાં પહેલી વખતે મારા મિત્રના પપ્પાના મૃત્યુ નિમિત્તે કાંધ આપીને આખી અંતિમ ક્રિયા જોવા મળી તે વાત ચોક્કસ યાદ આવે. મને તે વખતે પહેલી વખત એવું લાગ્યું કે આ પ્રસંગ દર્દનાક ફક્ત તે મિત્રના મમ્મી સિવાય કોઇને માટે દુઃખદ નહોતો. કારણ ગમે તે હોય પણ તેમને ઉંચકીને લઇ જનારા સગાંવહાલાં પણ તેમની ટીકા જ કરતા હતાં. ડાયાબીટીસ જેવાં ઘણાં રાજ રોગ હતા પણ સૌથી વધારે સ્થુળકાય હોવાને લીધે ઉપાડનારા જલ્દી જલ્દી કાંધ બદલતા હતા અને નવા કાંધે લેતા ગભરાતા હતા. મારો મિત્ર પણ મારી જ ઉંમરનો તેને એક સાવકી મોટી બેન હતી પણ મમ્મીને ભવિષ્ય કાળ અને સમજનું દુઃખ હતું. હવે મારું અને આ ચાર ભાઇ બહેનને કેવી રીતે મોટા કરશેના ભયો હતા.
મારો મિત્ર આવનારા કપરા સમયથી વાકેફ નહોંતો પણ તેમની અંતિમ યાત્રામાં જોડાનારા મોટા ભાગનાં બહું ખુશ હતા.. કારણ કે તેમાંના ઘણાંને પેલા મિત્રનાં પપ્પાએ ઊંચા વ્યાજે પૈસા ધીરેલા હતા અને લખાણ નહોતા. તે બધાને તો કુદરતી રીતે જ લોટરી લાગેલી હતી. હું પણ થાક્યો હતો કારણ કે એક્વડા શરીરે આટલા મોટા શરીરને મણીનગરથી જમાલપુર સ્મશાન સુધી લાવવાનું કામ એક સજા હતી. બહુ નાની ઉંમરે કાન ખુલ્લા અને આંખ ખુલ્લી સાથે સ્મશાનના અનુભવો લખતા આજે મન બે ભાવ અનુભવે છે
૧. મનસુખ તન્ના અને રાજેશ કારીયા વાતો કરતા હતા જનાર તો ગયો પણ હવે આપણા દીકરા દીકરીનાં લગ્ન પાક્કા કરો હવે જે પૈસા એને જતા હતા તે બંધ થયા અને આપણે તો બારણે સાત દીવા થયા મનસુખ તન્ના કહે, "યાર ! વાત તો તારી સાચી છે પણ જણસો કેવી રીતે છુટશે ?”
"સાવ સીધી વાત છે હજાર રુપિયા કાકીને આપી જણસો છુટી કરાવશું કહીશું કાકા કેટલા સારા હતા."
૨. મૃત્યુ એ મારા માટે જન્મ જેટલી જ સાહજીક વાત હતી જે જન્મે તેનું મૃત્યુ તો નક્કી જ છેને ? આ બીજી વાત મારા મિત્રનાં મામાએ તે ફ્યુનરલમાં સહજ રીતે કહી. હું વિજ્ઞાનનો વિદ્યાર્થી એટલે વાત તો સહજતાથી સમજી ગયો પણ તે મામાનાં બીજા ભાઇ બોલ્યા, "જરા બેનનો વિચાર કરો ભાઇ ! એ કેવી રીતે મોટા કરશે આ ચાર સંતાનોને ?"
"હવે આ મોટો તો મેટ્રીક થઇ જશે અને કામે વળગશે,, વળી બનેવી તો ધીર ધારનું કામ કરતા હતા એટલે પૈસાતો હશેજ ને ?"
"એ તર્કને રહેવા દો બધા સ્મશાન વૈરાગ્ય જેવા ઠાલા રુદનો છે.” બારમા પછી આ ભાણાભાઇને જોજોને? ક્યાંક ફીલ્મ ઇંડસ્ટ્રીમાં ગોઠવાઇ ગયો હશે."
"જો સાચી વાત કહું જ્યારે મા એ એમની સાથે લગ્ન ન્ક્કી કર્યા ત્યારે મને તો ગમ્યું જ નહોંતુ.. એક તો બીજવર અને પાછી એક જુવાનજોધ દીકરી બેન કરતા ૫ વર્ષે નાની એટલે સમજી શકાય કે જતાની સાથે જવાબ્દારી."
"હું મારા નજરો ચારે તરફ ફેરવતો હતો ત્યાં મારા મિત્રનાં બનેવી એ જોરથી ઠુઠવો મુક્યો.
"પપ્પા હવે અમારું શું થશે ?" આજુ બાજુનાં ડાઘુઓ ઊભા થઇને તેમને સાંત્વના આપવા ગયા ત્યારે જણાયુ કે તે સસરાને નહોંતા રડતા પણ તેમને સસરાએ કશું આપ્યું હતું કે નહીં તે જાણવા મથતા હતા. પેલા ડાઘુઓએ કહ્યું, "તેમણે વીલ બનાવ્યું હશે તો તે મુજબ થશે અને નહીં બનાવ્યુ હોય તો તમારા સાસુ હયાત છે .તેમની કાળજી લેજો તેઓ ઘટીત કરશે ને? ત્યાં તેમનું રડવું હીબકે ચઢ્યું. "ભાઇ તે તો સાવકી મા અને તે તેના છોકરાઓને જુએ અમને થોડી જુએ ?"
હવે ડાઘુ ચુપ રહ્યા તેમને કંઇ ખબર હોય નહી અને કંઇ કાચુ બફાય તેથી તે તો ચુપ રહ્યા. તેઓ તો મોટા ઉપાડે મારા મિત્રની સામે છાજીયા લેતા જાય અને રડતા જાય. "પપ્પાજી અમારું શું થશે?”
મારો મિત્ર ચીતાને આગ લગાડ્યા પછી તેમની પાસે આવ્યો અને મોટે થી એમની જેમજ છાજીયા લેતા રડવાનાં નાટકને તીવ્ર કરતા બોલ્યો, "હાય હાય રે દેવા મૂકીને ગયા છે મારા બાપા કહો કેટલું દેવું આપું?"
હવે ચોંકવાનો વારો બનેવી સહીત સૌ ડાઘુઓનો હતો.
"શું વાત ક્રે છે ? તારા બાપાતો લાખોના આસામી હતા..."
"હા, જેમને પૈસા ધીર્યા હતા તે હવે છુપતા ફરે છે અને જ્યાંથી પૈસા ઓછા વ્યાજે લીધા હતા તે બધા તવાઇ કરે છે ઓ મારા બાપારે આવું શું કામ કર્યુ તમે ?!"
ક્ષણભરનાં સન્નાટા પછી પેલા સાવકા બનેવી કહે, "સાવ ખોટું... મકાનોનાં ભાડા આવે છે બેંકમાં ફીક્સ્ડ ડીપોઝીટો પડી છે. આતો અમે સાવકા અને અમારું કોઇ નહીં તેથી ફેરવી તોળે છે."
"ચાલો સકળ નાતની હાજરીમાં કહું દેવું નીકળશે તો આપશોને પાંચમે ભાગે ?"
હાવ હાવ કરતો ડાઘીયો કુતરો અચાનક ભીગી ડરેલી બીલ્લી બની બોલ્યો, "અરે દેવુ તો દીકરા જ ભોગવે.. જમાઇ તો ખાલી લેવામાં જ સમજે."
બીજા વડીલ જે આ તમાશો જોતા હતા તે બોલ્યા, "જરા લજવાઓ આ શું નાતની સામે શેઠની ચિતા ને ઠરતા પહેલા શું માંડ્યું છે આ તમે લોકોએ ?"
થોડા ગણગણાટ સામે એક પછી એક લોક સરકવા માંડ્યું અને સ્મશાન બહાર ચાની લારી પાસે ઠલવાવા લાગ્યું શેઠની લાશમાંથી ગરમીને લીધે પાણી બહું પડતું હતું ત્યાં એક મશાણીયાએ મારા મિત્રને બોલાવ્યો અને કહે આ બાંબુ લો અને સળગતી ખોપરી ઉપર જોરથી ઘા કરો ખોપરી ફોડવી પડશે નહીંતર તે ધડાકાભેર ફાટીને બહાર આવેને કોઇને નુકસાન કરી શકે. મારા મિત્રને તેમ કરતા કેટલુંય વીત્યું હશે પણ મારા મનમાં થતું હતું દીકરાને આ કામ પણ કરવું પડે ?
ત્યાં બીજા વડીલ બોલ્યા, "દીકરો ચીતાને દાહ દે અને ખોપડી ફોડે તો જ બાપાનો આત્મા સદગતે જાય…
જો કે મારું વૈજ્ઞાનીક વાત આ માનવા તૈયાર નહોતું. દેહ મૂકતાંની સાથે આત્માએ તો બીજું ખોળીયું શોધી લીધું હોય છે. કેટલાંક બ્રાહ્મણો કે વીધીકારો શોકગ્રસ્ત કુટુંબીઓને ચોથુ અગિયારમુ અને બારમું કરીને પોતાનું પેટીયું ભરતા હોય છે. મારો મિત્ર જ્યારે તેના બાપાનાં બારમા પર મને લાડવા ખવડાવવા આવ્યો ત્યારે આ વીધીકારોની વાક્ચાતુર્ય સમજાઇ.
મારા મિત્રનું કહેવું હતું, "જો હું બારમાના લાડવા નહીં કરું તો બાપાનો જીવ અવગતે જશે."
મેં એની સામે ગંભીરતાથી જોયું ત્યારે તે કહે હું તો ના ગાંઠ્યો ત્યારે મારી મમ્મીને કહે, "તમને શાપ લાગશે. કદી બે પાંદડે નહીં થાવ. ગમે તેમ તો તે તમારા પતિ હતા. આ તેમનું દેવું છે ગામને જમાડવા ના હોય તો ૨૧ બ્રાહ્મણને જમાડો અને તેમને ૫૦૦ રુપિયાનું દાન કરો તે બ્રાહ્મણો વીધી કરી તેમની મુક્તિ કરશે."
જો કે આ વાત તો ૫૦ વર્ષ પહેલાંની હતી આજે તો ફ્યુનરલ એટલે એક આચાર. શુટમાં સજ્જ આવેલા દરેક અમેરિકનો ગુલાબ મૂકીને ચાલ્યા જાય અને સફેદ લેંઘા ઝભ્ભામાં આવેલા દેશીઓ પણ બ્રાહ્મણોના વીધી વિધાનો સાંભળીને ઉદાસ ચહેરે ઘરે જતા હોય છે. ઇલેક્ટ્રીક સમશાનોમાં દેહ પોલીસની હાજરીમાં ૪૫ મીનીટ્માં બળી જતો હોય છે. તેથી સ્મશાન વૈરાગ્યના અને અગાઉ કહેલાં દ્રશ્યો જોવા મળતા નથી અને હવે સમજ પણ આવી ગઈ છે 'જનમ્યું તે જાય' અને મૃત્યુ એક સાવ સહજ સાદી ઘટના છે કોઇ તેના ઉપર લાંબું વિચારતા નથી કે નથી હૈયાફટ કોઇ રડતું. જો કે અહીં તો તેને વેવલાવેડા કહી ત્રીજા દિવસે ટાયનોલની ગોળી લઇ જોબ ઉપર ચઢી જતા હોય છે. જેને રડવું હોય તે ત્રણ દિવસ બાદ કે મૃત્યુ પછીનાં રવિવારે ગોઠવાયેલા બેસણામાં કે ભજનોમાં આવી આંખ ભીની કરી જતા હોય છે. દરેક એ વાતને સમજતા હોય છે કે જનારના ગયા પછી રડીને ગમે તેટલું પુકારો તે ક્યાં પાછા આવે છે ?
આ લેખનું સમાપન અંબુકાકાનાં શાંતાબાનાં નિધન પછી ફ્યુનરલમાં કહેલી વાતને કહીને કરીશ.
તેઓએ તેમના લાંબા દાંપત્ય જીવન અને તેની કોઇ સારી નરસી વાત કર્યા વિના સૌ ફ્યુનરલમાં હાજર મિત્રોને કહ્યું, "શાંતાને વિદાય કરતા સૌ સ્નેહીજનો એક વાત સમજો શાંતાનો બીજો જન્મ થઇ ગયો છે તેને નવા જન્મની વધાઇ આપીને તેના દેહને વિદાય કરીયે અને તેમણે કરેલ આવજોના ભાવ સાથે વાતાવરણ પવિત્ર ઉર્જાથી ભરાઇ ગયું હતું અને સૌ અંબુકાકાની વહેવારીક વાતને વંદનો કરી વધાવતા હતા. મૃત્યુ ઉત્સવ છે તેને સહજ સ્વરુપ આપો તે આજના યુગની વાત છે. દુઃખ અને તેના દેખાડા મૃત્યુની પાવકતાને ઘટાડે છે. તેનો મલાજો મૌનમાં છે અને તેમના બાકી રહેલા કામો પુરા કરવામાં છે."