અપૂર્ણતાનો અહેસાસ ભાગ - ૩
અપૂર્ણતાનો અહેસાસ ભાગ - ૩
નાનકડી નાજુક દીકરી આસ્થાને હજુ માંડ છ જ મહિના થયાં હતાં ને બીમાર પડી. ડોક્ટરે નિદાન કર્યું કે આસ્થાને 'ન્યુમોનિયા' થયો છે. હમણાં એની તબિયતનું ધ્યાન રાખવું પડશે. આસ્થાને વધુ રડવા ન દેતા નહીં તો હાલત નાજુક થઈ જશે.
તૃપ્તિ પર જાણે કે વધુ એક જવાબદારી આવી ગઈ. આસ્થાની તબિયત સાચવવાની. હવે એ કંઈપણ કામમાં હોય જરાક આસ્થાનો અવાજ સાંભળી દોડી જતી. એક વખત તો ઉતાવળમાં આસ્થાને છાની રાખવા જતા રસોડામાંથી પગ લપસ્યો અને તૃપ્તિ ધડાકાભેર પાછળ તરફ ફસડાઈ ગઈ. હા, મુઢમાર વાગ્યો હતો એને. દુખાવો પણ હતો તોય બધું ભૂલી તૃપ્તિ આસ્થાને શાંત રાખી જરાક આડે પડખે થઈ ત્યાં તો સાસુજીનું વ્યંગબાણ આવ્યું.
"રાજકુમારી સૂઈ ગયાં હોય તો જરાક રસોડામાં પધારી કામ પતાવો મહારાણી." અને તૃપ્તિ જાણે કે ઘડીક પહેલાનું કળતર ભૂલી પાછી રસોડામાં અશ્રુભરી આંખે કામ પતાવવા લાગી. એણે વિચાર્યું આજે તો નિશાંતને કહી આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવો જ પડશે.
સાંજે કામ પરથી નિશાંત આવતા જ તૃપ્તિએ જરાક વાત શરૂ કરવાની કોશિશ કરી. ત્યાંજ જાણે કે આ પળની જ રાહ જોતા હોય એમ સાસુએ કહી દીધું. "બહુ તકલીફ પડતી હોય તો અલગ થઈ જાઓ." બહુ દિવસથી આ બધું જોઈ રહેલા નિશાંતે પણ આજે મન મક્કમ કરી લીધું. બન્ને જણાં આસ્થાને લઈ ઘરની બહાર નીકળી ગયાં. કોઈ જ સામાન સાથે લીધા વગર.
બે ચાર દિવસ આઘાતમાં વિતાવી પછી નિશાંત અને તૃપ્તિ ધીરેધીરે નવા વાતાવરણમાં ગોઠવાતાં ગયાં. નવા અનુભવો થતા ગયા અને જીવન એમજ ગોઠવાતું ગયું.
સરળ વેગે વહેતા જીવનમાં ફરી અડચણ ન આવે તો જ નવાઈ! ફરી તૃપ્તિને સારા દિવસો રહ્યા. હજુતો આસ્થા માંડ બે અઢી વર્ષની થઈ હશે. ત્યાં ફરી એક નવા મહેમાનના આગમનના ભણકાર વાગવા લાગ્યા. પણ જાણે કે નિશાંત આ નવા મહેમાનને આવકારવા તૈયાર ન હતો. રોજ એક જ વાત પર ચર્ચા થવા લાગી. "તૃપ્તિ, આ બાળક અત્યારે નથી જોઈતું આપણને. તને ખબર તો છે આપણી આર્થિક પરિસ્થિતિ." તૃપ્તિ દલીલ કરતી કે "પ્રભુની મરજી હશે તો જ એણે આ નવા મહેમાનને મોકલ્યું હશે ને? ના, મારે આ બાળકને પૃથ્વી પર આવવા દેવું જ છે."
ખુબ ખુબ ચર્ચાઓ, રિસામણા, ઉગ્ર દલીલો પણ છેવટે કંઈ ન વળ્યું અને તૃપ્તિની ના છતાંય એને અબોર્શન કરાવવું પડ્યું. ફરી જાણે કે તૃપ્તિ પર વજ્રઘાત થયો એનાં મન પર. તેમ છતાંય તૃપ્તિ જાણે કે હાર માનવા તૈયાર ન હતી. એને અટલ વિશ્વાસ હતો. ખુદ પર અને ભગવાન પર. હવે પહેલાં કરતાં વધુ સમય એ આધ્યાત્મિક થતી ગઈ. હવે જાણે કે એને બીજા કશાયમાં રસ ન હતો. એ ભલી... એનાં ઠાકોરજી ભલા... એની ઢીંગલી આસ્થા અને નિશાંત બસ નાનકડી દુનિયા.
સરસરાટ વહેતા જીવનમાં ફરી એક વળાંક આવ્યો જેણે તૃપ્તિનાં અસ્તિત્વ પર ઘેરો પ્રહાર કર્યો...
(ક્રમશઃ)