ભિખારી કોણ ?
ભિખારી કોણ ?
એક ગામ હતું. તે ગામમાં કૃષ્ણ ભગવાનનું એક સુંદર મંદિર હતું. આ મંદિર ગામની શોભા હતી. ઘણા લોકો આ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે અને પ્રાર્થના કરવા માટે આવતા હતા. આ મંદિરની બહાર એક ભિખારી બેસતો હતો. એનું નામ ભીખુ હતું. તે પગે અપંગ હતો. એટલે કોઈ કામ ધંધો કરી શકતો નહિ. એટલે તે મંદિરની બહાર કોથળો પાથરીને બેસતો.
મંદિરમાં દર્શન માટે આવતા જતા લોકો આ ભીખુને પોતાની શક્તિ મુજબ મદદ કરતા. કોઈ પૈસા આપતું. કોઈ કપડા આપતું તો વળી કોઈ ખાવાનું આપતું. આજ મંદિરમાં એ ગામના એક શેઠ પણ રોજ ભગવાનની પૂજા કરવા માટે આવતા. પણ તે ઘણા જ કંજૂસ હતા. તે ક્યારેય આ ભીખુને કોઈ મદદ કરતા નહિ. ભીખો વિનંતી કરતો કે “શેઠ આપ તો ધનવાન છો કઇંક આપો.” ત્યારે શેઠ તેને ધમકાવતા, ભીખ માંગતા શરમ નથી આવતી. અને ભીખો લાચાર બની જતો.
આવું રોજ થતું. પછી ભીખાએ તેમની પાસે ભીખ માંગવાનું બંધ કરી દીધું. તો પણ શેઠ જયારે જયારે મંદિર આવે ત્યારે બધાની હાજરીમાં ભીખુને ટોકે. ભીખો પણ બધાની હાજરીમાં શેઠ તેમને ટોકતા એટલે લાચાર પડતો. એક વાર શેઠ મંદિર દર્શન કરવા માટે આવ્યા. ત્યારે મંદિરના પૂજારી બહાર જ ઉભા હતા. ત્યારે શેઠ પૂજારી સાથે વાતો કરી રહ્યા હતા. “પૂજારીજી આ વખતે ભગવાન પાસે લકી ડ્રોમાં ઇનામ જીતવા માટે બાધા રાખી છે. હે ભગવાન મને લકી ડ્રોમા જીતાડજો.”
આ સાંભળી ભીખો શેઠની પાસે આવ્યો ને બોલ્યો, “શેઠ તમે મને રોજ ભિખારી ભિખારી કહો છો. મારું તો શરીરઅપંગ છે, હું કામકાજ કરી શકતો નથી એટલે ભીખ માંગું છું. તમારું તો શરીર પણ તંદુરસ્ત છે. ભગવાને તમને આટલું સુખ આપ્યું છે તો પણ તમે ભગવાન પાસે ભીખ માંગો છો. ફરક ખાલી એટલો છે, કે તમે મંદિરની અંદર ભીખ માંગો છો અને હું બહાર માંગું છું.''