મહોંરી ગયો તેના મનનો ગુલમહોર
મહોંરી ગયો તેના મનનો ગુલમહોર
સુગરલેંડ હયુસ્ટનનો સમૃધ્ધ એરીયા છે. એ વિસ્તારમાં રહેતા અનુપમ અને નીરાલી પટેલને મળવા જવાનું હતું તેથી ફોન કર્યો – અને નીરાલીબેનની સાલસ અને સહજ વાતોથી એમ લાગ્યું કે ગ્રામીણ પટેલ કુટુંબ છે અને તેમને માટે નાણાકીય સલાહો આપવાની છે.
ખૈર…. કેલીફોનીયા લોસએંજલસના બસ ડીપોમાં ઝાડુ અને પોતું મારતો ધીમા અને મીઠા અવાજે ઠરેલ વાતો કરતો 25 વર્ષ પહેલાનો અનુપમ… અહીં સાહસ કરીને આવી તો ગયો… પણ અસંખ્ય હાડમારીની વચ્ચે નાટ્ય શોખીન જીવડો જિંદગીના રંગમંચ ઉપર જે નાટ્ય જીવન જીવી રહ્યો છે તે સાંભળતા મારા તો રુંવાડા ખડા થઈ ગયા.
અનુપમ અને મધુરમ બે ભાઈઓ…. એક જ માના ઉદરે જન્મેલ શ્રવણ અને રાવણ.
અનુપમ અને મધુરમ ઉછર્યા લંડનમાં – ભણ્યા ખાસ કશું નહીં પણ બાલમુકુંદે અનુપમના અમેરીકા ગયા પછી મધુરમ સાથે ભારત પ્રયાણ કર્યું.
નાની દીકરી રુકમણી નીરાલીને વારંવાર પૂછતી – આ દાદા કયાંના છે. એમને કહોને મારું આલ્બમ જુએ અને એ સમયે અનુપમનો દસ વર્ષનો વિરામ નવસારી હતો તેનો ફોન આવ્યો એટલે વાતોમાં હતો. અને આ નાના વિરામ વખતે નાની દીકરીના આગ્રહથી મેં આલ્બમ જોયું. સારી સારી હસ્તીએ સાથે અનુપમભાઈની ઉઠક બેઠક છે…. ફોટા ઉપરથી લાગ્યું. ભારતના નેતાઓ – અભિનેતા ઓ અને મોટા મોટા ડોકટરો અને વિધ્વાનો સાથે તેમની ઉઠબેઠક જોઈને હું આનંદિત થયો. પણ કેટલાક કૌટુંબીક ફોટાઓમાં કયાંક કયાંક કાતરે કરામતો કરેલી કોઈક ભાઈ – બહેન દેખાતા નહોતા – અમેરીકન વિવેક પ્રમાણે મનમાં પ્રશ્ન પુછવાની ઈચ્છા હતી છતા ન પૂછ્યો.
ઈન્ડીયાનો ફોન પૂરો થયો અને અમારી ધંધાકીય ચર્ચાઓ શરુ કરતા તેમણે પ્રશ્ન પૂછ્યો – તમને આલ્બમમાં અજુગતું કશું ન લાગ્યું – મેં મોંધમ સેવ્યું – એટલે તેમણે કહ્યું – તમને ખબર છે કોઈકને દુશ્મન લુંટે – કોઈકને ઘરવાળા લુંટે. મને મોટાભાઈએ અને મારા બાપે લુંટયો છે તેથી આલ્બમમાં એમના કયાંય ફોટા નથી….
હું મારા જીજ્ઞાસુ સ્વભાવને કાબુમાં ના રાખી શક્યો. અનુપમભાઈએ જે વાત શરુ કરી તેનો સંપુર્ણ અહેવાલ જોઈતો હતો.
તેમણે કહ્યું. “મારા બાપાને હું બહુજ આદરમાનથી જોતો એટલે લંડનથી હું અમેરીકા આવ્યો… અને બે ચાર પાંદડે થયો અને એમને ભારતથી અહીં બોલાવી લીધા. નીરાલી તે વખતે ત્રણ વર્ષે બેજીવાતી હતી – અને ત્યારના મારા બાપા અને બા મારી સાથે રહેલા. માંદે સાજે તેમની દવા દારુ અને સેવા સુશ્રુષા બધી મારે જ કરવાની. મારા મધરને જેમ તેમ બોલી નાખે એટલે હોસ્પીટલમાં હું જ રહું. તેમને ચાર વખત તો બાયપાસ કરાવી અને અહીં ના હોસ્પીટલનાં ખર્ચા તો તમને ખબર ને… મોટા હાથી જેવા…. તેમના ડાઈપર બદલવાના અને બધીજ સુશ્રુષા કરનાર ફક્ત હું જ….
મધુરમ અને નાની બેન ઈશ્વરા બંનેના લગ્ન ચાલીસ હજાર ડોલર્સ ખર્ચીને મેં કરાવ્યા…. આપણને એમ કે મોટોભાઈ થયો એટલે કરવું પડે ને…. એજ સુરતી લઢણમાં એમણે વાત કરી…”
મને હજી મૂળ વાત પકડાતી નહોતી તેથી મેં ટાપસી પુરાવી – પણ આ તો વહેવાર થયો… લુંટ કયાંથી આવી….
નીરાલીબેન શાંતિથી સાંભળતા હતા – તે બોલ્યા – ”અનુપમ હવે જવા દેની તે વાત – જાતે કંઈ પોતાની જાંઘ થોડી ખુલ્લી થાય ? – અને જુઓ ભેંસનાં શીંગડા ભેસને ભારે.”
અનુપમભાઈ કહે, “નારે ! આતો નાનલી એ આલ્બમ બતાવ્યું અને અરુણભાઈ વિવેકી – આપણને માને છે – તેથી મને કહેવાનું મન છે તો કહીશ…"
મેં ફરી પાછુ મોંધમ મૌન સેવ્યું – અને આંખથી આગળ શું થયુંનો પ્રશ્ર્નાર્થ પૂછ્યો. એટલે અનુપમભાઈએ કહ્યું, ”નીરાલીને ત્રણ ગોળી પેટમાં અહીંના કાળીયાએ મારી છે – નીરાલી જરા પેટ ઉંચુ કરીને બતાવતો…"
હું મર્યાદામાં – વિવેક માં… ના હવે રહેવા દો કહેતો હતો ત્યાં નીરાલી બેને પેટમાં ટાંકા પડેલા તે ભાગ ખુલ્લો કરીને બતાવ્યો…
અનુપમભાઈની વાત આગળ ચાલી- “તે વખતે કિન્નરી 3 વર્ષની અને વિરામ એક વર્ષનો ત્યારે આ બન્યું… ડોકટરે તો ૭૨ કલાકની મુદત આપી જ દીધેલી કુલ ૧૦૭ ટાંકા અને મોટેલની ટાંચી આવકો છતાં એને કૃષ્ણની ગીતા ઉપર બહુજ શ્રધ્ધા તેથી છોકરાવો નમાયા ના થયા…
“પણ – આમાં બાપા અને ભાઈ તો કયાંય ન આવ્યા…?" મેં ફરી પ્રશ્ન પૂછ્યો.
અને અનુપભાઈ બોલ્યા, "આપણું નવસારી કરતા નાનું ગામ – કોલંબસમાં મારી મોટેલમાં કોઈ હબસીને રુમ જોઈતી હતી. જે નહોતી એટલે નીરાલીએ ના આપી – દારુમાં ધુત – એ તો ગોળીઓ મારીને જતો રહ્યો – પોલીસ તેને પકડવા મથતી – જ્યારે હું બહાવરો થઈને છોકરા અને હોસ્પીટલમાં ફરતો હતો ત્યારે મોટેલમાંથી તેમનો હાથ ફરતો થઈ ગયો. બાપે ગલ્લો સંભાળવા ને બદલે ગલ્લો હડપીને મધુરમને પૈસા મોકલવા માંડ્યા. ઈશ્વરાને મોકલવા માંડ્યા… જે દિવસે મેં જાણ્યુમ ત્યારે ખૂબ જ રડ્યો… પણ આવું કોને જઈને કહેવાય…? મેં એમણે માંગ્યા તેના કરતાંય વધુ પૈસા જયારે પણ જરુર પડી ત્યારે આપ્યા છે. અને એ આપીને ઉપકાર કર્યો હોય તેવો કોઈ જ ભાવ નથી બતાવ્યો… છતાય… જયારે મારા ઉપર ખુબ જ વીતતી હતી ત્યારે જ અને તે પણ મને પુછ્યા વિના…. ખૈર તે વખતે તો હું ચુપ રહ્યો… પણ – કિન્નરી માંદી પડી અને પૈસાના અભાવે હું એને હોસ્પીટલ લઈ જવામાં મોડો પડ્યો ત્યારે ઈશ્ર્વરા અહીં હતી – અને મેં લોન તરીકે પૈસા માંગ્યા તો નાના મોઢે બહેને મને ગણિત શીખવવા માંડ્યું. પૈસાનો તો જોગ જાણે થઈ ગયો. પણ કિન્નરી ડોકટરની નિષ્કાળજીથી મૃત્યુ પામી….”
નીરાલીની આંખમાં આંસુ – અનુપમની આંખમાં આંસુ અને ભારે થયેલ મારા ચહેરાને જોઈ નાની રાધા બોલી દાદા કિન્નરીબેન તો પરી થઈ ગયા ને…. જો પેલા ફોટામાં રહ્યા. નીરાલી પાણી પીને બોલી – “અનુપમને કિન્નરીનું ખૂબ જ લાગી આવે. પણ જે ઘરમાં ગીતાનો વાસ હોય ત્યાં દુઃખ રે જ ની – (નહીં -કારણ કે કર્મનો સિધ્ધાંત. મેં ખોટુંની કરેલું તેથી- આટલા મોટા ઓપરેશન પછી કિન્નરી વિના મેં ધારેલું અને મને બે દિકરીઓ થઈ – રાધા અને રુકમણી."
– અનુપમે સહેજ સ્વસ્થતા પકડી વાતને આગળ વધારી…
અઢી વર્ષે ડોકટરની નિષ્કાળજી બદલ વીસ લાખ્ર ડોલરનો દાવો મળ્યો – ત્યારે મારી જિંદગીમાં રડવું કે હસવુ મને ન સમજાયું. નીરાલી આને પ્રભુનો ન્યાય સમજતી હતી – પણ ૨૦ લાખમાંથી ૮ લાખ મેં કિન્નરીના નામે હોસ્પીટલ ખોલવા માટે મારા બાપાને આપ્યા – ૨ લાખનો હિસાબ બતાવી ૬ લાખ ચાંઉ કરી ગયા… હવે હું ચુપ ના રહ્યો – મેં મારી બાને કહ્યું, "આ પૈસા મારા નથી નીરાલી ના નથી – પણ તેના ત્રણ છોકરાના છે – આ પૈસા ના ખવાય – થોડોક ભગવાનનો ડર રાખો…. મેં વડીલને પુણ્ય ના કામો કરવા યોગ્ય સમજીને આપ્યા છે…" મારી બા ખૂબ રડી પણ – તે શું કરી શકે ? બોલો અરુણભાઈ આવુ હોઈ શકે ? આવું થઈ શકે ? પણ થયું છે… તો શું…? અનુપમભાઈનો ગુસ્સો – અને આક્રોશ એમની રીતે તો વ્યાજબી જ હતા… પરંતુ મારું મન આ કળયુગ આટલો વધો તીવ્ર થઈ ગયો છે તે માનવા તૈયાર નહોતુ – માબાપને મન બાળક આગળ વધે તે ગર્વ અને ગૌરવની વાત હોય – પરંતુ ધર્મ કાર્ય – દાનમાં આપેલ પૈસા બાપા ચાંઉ કરી જાય તે બાબતે અવઢવ હતી.
મધુરમ્ અત્યારે ઈશ્ર્વરા સાથે શીકાગો માં રહે છે. તેનુ લગ્નજીવન અને ઈશ્ર્વરાનું લગ્નજીવન ખરાબે ચઢ્યુ છે. મધુરમ્ નિ:સંતાન છે. – પત્ની સાથે ફાવતુ નથી તેથી તેને મુંબઈ છોડી અનુપમના સ્પોન્સરશીપ ઉપર અમરીકા તો આવી ગયો… પણ ફોન સુધ્ધા નથી કરતો તે બાબતે અનુપમને રંજ હતો તેથી એક દિવસ તેને ફોન કર્યો ત્યારે જવાબ મળ્યો… “તારુ હવે કંઈ કામ ની મળે તેથી… સ્પોન્સર થઈ ગયો… ગ્રીનકાર્ડ મળી ગયું એટલે… હવે તારી જરુરની મલે….”
ઈશ્ર્વરા તેના પરિવાર સાથે રહે છે. ધર્મના નામે મીંડુ અને કર્મના નામે ચાંડાલીક જીવન જીવતા ભાઈ બહેન ની સાથે બાપા રહે છે. – પૈસાની જરુર પડે એટલે ભીખ માંગવાની… બાપ ખોંખારીને બોલે પણ ખરો…. લક્ષણો ચોખ્ખા રાખો ને… ખોટી ખાંડ શું કામ ખાવ છો ? પણ અંતે તો બાપનો જીવને…. એટલે ત્રણે ને સરખુ કરવા – દીકરાના પૈસાનો હિસાબ રાખવાને બદલે બીજી મોટેલમાં નોટ્સ આપી (લોન આપી) અને વ્યાજ માં ભાઈ-બહેન અને તેમનુ જીવન જાય….
અરુણભાઈએ અનુપમ ને ફક્ત એટલુ જ કહ્યું કે માબાપનો જીવ કદી દીકરાનું અહીત થાય તેમા રાજી ન હોય કંઈક સત્ય જુદુ હશે આટલો બધો મનમાં આક્રોશ ન રાખશો – અને જે થયુ તે – ઘી ઢળ્યું છે તો ખીચડીમાં ને….
બનવાકાળ – અનુપમનો આ વલોપાત તેની બાથી ન સહન થયો – અને શીકાગો ફોન ઉપર વાત કરી – ત્યારે બાપા કહે – “અનુપમને ગેરસમજ થઈ છે. તે કલાકાર જીવ છે તે દરેક વસ્તુને સંવેદનાઓથી ભરી દે છે. ખરેખર જે પૈસા તેના છે તે તેનાજ છે. મેં તો તે પૈસા યોગ્ય જગ્યાએ ગોઠવ્યા છે. હા – ઈશ્વરા અને મધુરમ એ પૈસા માટે કયારેક મથે છે. પણ અનુપમને કહેજો ખોટો વિલાપ ન કરે !" "ભલે – બાપુજી." કહીને નીરાલી એ ફોન મૂકી દીધો.
મને ફોન કરીને અનુપમે આ વાત કરી ત્યારે મને પણ આનંદ થયો… માબાપ – વેરો આંતરો કરી જ ન શકે તેવી તેની માન્યતા હતી – પણ પુરાવો મળતો ન હોંતો જે મળ્યો – અને ગેરસમજો ટળી ગઈ.
જો કે અનુપમ હજી સ્વીકારી શક્તો નહોતો – પણ નીરાલી કાયમ કહેતી ઉપરવાળાને ત્યાં દેર પણ નથી અને અંધેર પણ નથી. આપણે તો સારા ભાવો સાથે સારુ જીવન જીવવાનું – જરુર પડે કોઈક ને માટે ઘસાઈ છુટવાનું અરુણ હજી કયારેક અનુપમના ગેરસમજ ભરેલા આંસુ જોઈને વ્યથીત થઈ જાય છે. પણ સુગરલેંડના એ ઘરમાં હવે એક નહીં બે બે કિન્નરી જેવી કળીઓ ખીલી રહી છે… ગીતા જે ઘરમાં હોય ત્યાં કંસ નો વસવાટ ન હોય. નવા સ્વપ્ના ખીલે છે અને આથમે છે.
તે દવસની સંધ્યા… હળવેકથી મને અનુપમ ને પુછવાનું મન થયુ ભાઈ – આલ્બમનાં ફોટા હવે કાઢી નાખજે. નહીંતર એ કડવી યાદોના ઘુંટડા મીઠા નહીં બને…. પણ અનુપમે તો આખું આલ્બમ જ કચરા પેટીમાં નાખી દીધું હતું – આખરે તો કલાકાર જીવ ને…. સહેજ અનુકુળ વાતાવરણ મળતા જ મહોંરી ગયો તેના મનનો ગુલમહોર...