અંતે પ્રેમ થઈ ગયો
અંતે પ્રેમ થઈ ગયો
"તેરે બિના જિંદગી સે કોઈ શિકવા તો નહિ........ " ૯૨.૩ એફ.એમ પર ગીત વાગતું હતું. અને ઋજુતા સુનમુન બેઠી હતી. ઋજુતા આવી જ રસ વગર ન હતી. તે તો ઝરણાના વહેતાં પાણી જેવી જ હતી. ઋજુતા ખૂબ શોખીન ને ઉત્સાહને ઉન્માદથી ભરેલ હતી. ઋજુતા નરમ હતી પણ તેના સ્વભાવમાં પણ ભરતીને ઓટની જેમ ઉતાર ચડાવ રહેતા હતા. ઋજુતા ખળખળ વહેતું ઝરણું હતી તો કોઈ વખત પથ્થરોથી ટકરાઈ પાછું આવી શકે તેવું મોજું પણ હતી. ઋજુતા આજે પહેલાં જેવી ન હતી, તે બદલાઈ ગઈ હતી. ભલે તેની રહેણીકરણી કે જીવન નહોતું બદલાયું પણ અંદરની ઋજુતા બદલાઈ ગઈ હતી. એક સુખી લગ્નજીવનમાં જરૂરી બધું જ ઋજુતા પાસે હતું ને છતાં તે આજે ખુશ ન હતી. પહેલાંની નદી જેવી ઋજુતા, આજે જાણે કાળમીઢો પત્થર બની ગઈ હતી.
ઋજુતા હંમેશાં જીવનથી ભરપૂર રહેતી. કોઈ પણ અન્યાય ખાસ કરીને સ્ત્રી પર થતા અત્યાચાર સામે તે હંમેશાં ઊભી રહેતી. કોઈ પણ સ્ત્રી માટે તે એક પ્રેરણા બની રહેતી. ઋજુતા માટે બધા એને ખુશ રહેતાં કાગડાની વાર્તાનો કાગડો જ કહેતાં. બધી જ પરિસ્થિતિમાં હસતાં રહેવું અને ખુબ સહેલાયથી તે પરિસ્થિતિને પાર પાડવી ઋજુતાની આગવી આવડત હતી. ઋજુતા હાજર જવાબી હતી. અન્ય સ્ત્રીની જેમ સહન કરવું અને વાત વાતે જતું કરવું એ વાત ક્યારેય તેના ગળે ઉતરી જ ના હતી. તે હંમેશાં કહેતી કે અન્યાય કરવા કરતા સહન કરનાર જ દોષી છે, શા માટે સહન કરવું? તે હંમેશાં કહેતી કે સહન તે કરે જેને પોતાની જાત પર વિશ્વાસ ન હોય, તે હંમેશાં કહેતી કે પહેલાં પોતાની જાત પ્રત્યે માન રાખો ને પ્રેમ રાખો તો કોઈ તમને પણ પ્રેમ કરશે.
પણ આ તો એ ઋજુતા ન હતી, આજની ઋજુતા તો કોઈ અલગ જ હતી. એવું તે શું થયું ઋજુતાના જીવનમાં કે ઋજુતા આમ, હ્રદય વગરનું શરીર બની ગઈ હતી, એવું તે શું થયું કે ઋજુતા આટલી, ગુમસુમ રહેવા લાગી હતી? એવું તે શું થયું કે જે બધાની પ્રેરણા હતી તે આજે જીવતી લાશ બની ગઈ હતી.
લોકોને ઈર્ષા કરાવતું ઋજુતા અને સહજનું સહજીવન હતું. ઋજુતા અને સહજના પ્રેમલગ્ન થયાં હતાં, અને બંને ખુબજ સુંદર અને સુમેળ ભરી જિંદગી જીવતાં હતાં. સહજ અને ઋજુતા પતિ પત્ની ઓછાં અને મિત્ર વધુ હતાં. કોઈ એવી વાત નહિ હોય એકબીજાની જે ઋજુતાઅને સહજ એ શેર નહિ કરી હોય, પછી, તે પોતાના લગ્ન પહેલાના સબંધો હોય કે પોતાની કોઈ ટેવ, કે કુટેવ બન્ને લોકોને નજરે ચડે એવું જ નિખાલસ દાંપત્યજીવન જીવતાં હતાં. સહજ જ્યારે હોય ત્યારે એક જ ગીત ગાતો ઋજુતા માટે;
"પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વાહણોનો કાફલો." કારણ ઋજુતાના ગાલ પર એવાજ સુંદર ડીમ્પલ પડતા હતા, અને સામે ઋજુતા પણ ગીત ગુનગનાવતી કે “હું તો ખોબો માંગું ને દઈ દે દરિયો, સાવરિયો રે મારો સાવરિયો...” ખરેખર ક્યારેય કોઈ જ વાતની ખોટ આવવા દીધી ન હતી. ઋજુતા પાંચ રૂપિયા માંગે તો સહજ પચાસ આપતો હતો. લગ્નના ત્રણ વર્ષ પછી ઋજુતાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો એ હતો. સમયને સમય આપવા માટે ઋજુતાએ પોતાની કારકિર્દીને પણ તિલાંજલિ આપી માત્ર અને માત્ર સહજ અને સમય માટે જ જીવવા લાગી.
સમય જતાં જતાં સમય મોટો થવા લાગ્યો અને સહજ પણ એક મલ્ટી નેશનલ કંપનીમાં મનેજર તરીકે નોકરી કરતો હતો. પોતાની નોકરીમાં એકએક કરીને દાદરાઓ સર કરીને ખૂબ જ ઉચ્ચ સ્થાને પહોંચી ગયો હતો, પણ આટલા વર્ષોમાં તેમના લગ્નજીવનમાં એક નીરસતા આવવા લાગી હતી, ઋજુતા પણ હવે કંઇક કરવા વિચારવા લાગી હતી, કારણ સહજ તો ખૂબ જ વ્યસ્ત રહેવા લાગેલ અને ઋજુતાને લાગતું કે પગભર હોવા છતાં સહજના ચાલેલા પથ પર જ ચાલતી હતી, તેને થતું હતું કે પેસા કમાવવાની દોટમાં સહજ ખૂબ જ આગળ ચાલ્યો ગયો હતો.
ઋજુતાને હવે એકલું લાગવા લાગ્યું હતું અને એકલતા દૂર કરવા ઋજુતાએ નોકરી ચાલુ કરી, નોકરી તો લગન પહેલાંથી જ કરતી ઋજુતા અને રૂ. ૬૦૦માં ભણતા ભણતા નોકરી કરેલ આજે પણ યાદ છે, ઋજુતાને પહેલી નોકરીના પગારથી સાડી ખરીદેલી અને એ પણ કાળા કલરની પણ ઋજુતા ક્યારેય એવા અંધવિશ્વાસમાં માનતી નહિ, તેને કોઈ કઈ કરવાનું ના પાડે એ પહેલા કરતી એવી ઋજુતા હતી, આ વખતે મળેલ નોકરી ભલે ઋજુતા ના સ્વભાવ પ્રમાણે ન હતી પણ કઈક શીખવા મળે એવી ઈચ્છાથી જ ઋજુતા એ આ નોકરી સ્વીકારેલ અને લોકોને મળવું અને મિત્ર બનાવવા માટે ઋજુતા હમેશા થનગનતી રહેતી, ઘરમાં રહી ઘર સંભાળવું ક્યારેય ઋજુતાને મગજમાં ઉતરતું જ નહિ અને એટલે જ ઋજુતા એ નોકરી ચાલુ કરી. સમય પણ એવો કે આખો દિવસ ચાલ્યો જાય, ઋજુતાને વ્યસ્ત રહેવું ગમતું તેનું ચાલતું તો તે પાંચ મિનીટ પણ ફ્રી ન રહે.
ઋજુતા રોજ સવારે ઘરકામ પતાવીને નોકરી એ જાય ને નોકરીમાં પણ ઋજુતાનો રૂઆબ હતો થોડા જ દિવસમાં કચેરીના બધાજ કામમાં માહિર થઈ ગઈ હતી. એવી માહિર કે કચેરીમાં બધાને ઋજુતા ઋજુતા થવા લાગ્યું. ઋજુતા કામની સાથે બોલવે પણ મુક્ત હતી. એટલે બધા એને ખૂબ પસંદ કરતા, આમ ઋજુતાને સહજની વ્યસ્તતા ખૂંચવાની બંધ થઈ પણ એકલતા તો ભીડમાં પણ લાગતી અને આ એકલતામાં કોઈ સાથી બને એ ઋજુતા ઝંખતી અને સાથેની જ કચરીના એક સહ કર્મચારી જોડે મિત્રતા થઈ, લગભગ ૧૦થી ૧૫ વર્ષનો ફેર હતો ઋજુતા અને રાજીવ વચ્ચે પણ એટલે જ કદાચ રાજીવની મિત્રતામાં ઓતપ્રોત થઇ ગઈ હતી. રાજીવ ખૂબ મેચ્યોર હતો એટલે એની વાતો સાંભળવી. ચર્ચા કરવી ગમતી અને રાજીવ પણ ઋજુતાને ગમતી જ વાતો કરતો. શરૂઆતમાં રીસેસ દરમ્યાન મળતા અને અલક મલકની વાતો કરતા, પછી અચાનક એક દિવસ ઋજુતાની ગાડી સર્વિસમાં ગઈ હોવાથી તે ઓફિસમાંથી ઘરે જવા બસ સ્ટેન્ડ પર ઉભી હતી. ત્યાં જ એક કાર આવી ઋજુતાપાસે ઉભી રહી અને કાચ નીચે ઊતરાયો તો રાજીવ અને રાજીવએ ઋજુતાને ઘરે મૂકી જવા આગ્રહ કર્યો મનમાં તો હા હતી પણ કેવું લાગે? ના વિચારે ઋજુતાને ના પાડવા મજબુર કર્યું, પણ પછી દિલ આગળ મનનું જોર ન ચાલ્યું અને ઋજુતા અચકાતાં અચકાતાં કારમાં બેઠી, થોડો સમય છે ? અચાનક રાજીવે પ્રશ્ન પૂછ્યો, તો થોડો લાંબું ચક્કર મારી ઘરે મૂકી જાઉં. ઋજુતા આમાં પણ ના ન પાડી શકી અને બંને એક લાબું ચક્કર મારવા નીકળી પડ્યાં. વાતો ખૂબ કરી જુના ગીતો પણ વગાડતા હતા અને બંનેને શોખ પણ સરખા હોવાથી તે પણ એક વિષય વાતો કરવામાં વધ્યો. ઋજુતાને થયું કે કેટલું સામ્ય છે એના અને રાજીવમાં અને સહજ અને ઋજુતાતો એ ટુ ઝેડ સુધી અલગ જ હતા અને સહજતો જરૂર પૂરતી જ વાતો કરતો અને ન ઈચ્છા હોવા છતાં અજાણતા રાજીવ અને સહજની કમ્પેરીસન થવા લાગી.
અંતે ઘરે પહોંચી ગઈ આજે ઋજુતા ખૂબ ખુશ હતી પણ સહજને ક્યારેય ઋજુતામાં ક્યારેય સારો કે ખરાબ ફેરફાર દેખાતો જ ન હતો, જ્યારે રાત્રે કામ પરવારી ઋજુતા મોબાઈલ લઈ બેઠી અને ઋજુતાના મોબઈલમાં એક મેસેજ હતો રાજીવનો માત્ર ગુડ નાઈટ અને સ્વીટ ડ્રીમને ઋજુતા તો ખુશ ખુશ હતી. એક મેસેજથી જ ઋજુતાને ખબર નો’તી કે એ ધીરે ધીરે રાજીવતરફ ખેચાતી હતી. તે મનોમન વિચારતી હતી કે પ્રેમ તો હવે ન થાય અને પ્રેમ તો કરવો જ નથી તો આ તે કેવી લાગણી છે. પ્રેમ તો એક જ વાર થાય તો ? અને પછી તો ઓફીસ જવું અને પહેલાં કરતાં પણ ટાપટીપ કરી જવા લાગી અને થતું કે એક વખત રાજીવ એને જોઈ જાય, એટલે બસ ને બસ પછી તો દિવસો જવા લાગ્યા રોજ સવાર ગુડ મોર્નિંગના મેસેજથી થતી અને રાજીવના જ ગુડ નાઈટના મેસેજથી રાત પડતી. બને વીકમાં એક વાર લોંગ ડ્રાઈવમાં પણ જવા લાગ્યા અને ઋજુતા જે ક્યારેય ખોટું ન બોલતી બોલવા લાગી, રાજીવ સાથે હોય ત્યારે ઋજુતા કંઈક અલગ જ ખીલેલી રહેતી ને રાજીવ પણ જાણે બધુંજ ભૂલીને ઋજુતામય થઈ જતો. બંને એકલાં ફરતાં ઘણી વખત કોઈ ન હોય તો ઋજુતા રાજીવને ઘરે પણ બોલાવતી પણ એક જ રૂમમાં એકલા રહેતા હોવા છતાં મર્યાદા ક્યારેય ઓળંગી ન હતી. રાજીવ પ્રેમ તો નથી કરવો હો એવું કાયમ તે રાજીવને કહેતી અને રાજીવ પણ એમ જ કહેતો કે ના ના પ્રેમ નથી કરવો. દિવસે ને દિવસે સહજના નકારાત્મક પાસા દેખાતા સામે રાજીવના એજ બધી વાતમાં સારા પાસા દેખાતા.
આમ તો સહજ અને ઋજુતાના પણ પ્રેમ લગ્ન હતા પણ આ લગ્નમાં હવે પ્રેમ રહ્યો ન હતો તે ઋજુતા પણ જાણતી હોવા છતાં માનવા તેયાર ન હતી, તે તો વિચારતી કે પ્રેમ તો એક જ વાર થાય તે સહજ સાથે થઈ ગયો પણ મનમાં તો રાજીવ જ રહેતો હતો. એ જ્યારે હોય ત્યારે રાજીવને કહેતી કે, હું પ્રેમ નથી કરતી પણ કહેતી ભલે રાજીવને પણ મન તો પોતાને જ મનાવતી હતી. રાજીવ સાથેની મિત્રતાએ ઋજુતાને જીવન જીવવા અને માણવા કરી દીધી'તી. પણ અચાનક એક સાંજ સહજ ઓફિસેથી આવ્યો ને હાથમાં મીઠાઈનું પેકેટ. ઋજુતા અચરજમાં કે ક્યારેય એક પણ વસ્તુ ન લાવનાર સહજના હાથમાં મીઠાઈ? ત્યાંતો સહજે એક પોતાનું લેપટોપ ખોલી એક મેઈલ વંચાવ્યો મેઈલ વાંચતા વાંચતા જ ઋજુતાના આંખમાંથી આંસુઓ ટપકવા લાગ્યાં. મેઈલમાં સહજને પાંચ વર્ષ માટે ડેપ્યુટેશનમાં કુટુંબ સાથે લંડન જવાનો ઓર્ડર હતો, સહજને થયું હર્ષના આંસુ છે, પણ ઋજુતાનું મન જ જાણતું હતું કે રાજીવથી દુર જવાના વિચાર માત્રથી આ આંસુ ટપકી રહ્યા છે, પણ પ્રેમ તો કરવો ન હતો, તો પણ થઇ ગયો.