એક મેકની દરકાર
એક મેકની દરકાર
નિવૃત થયા પછી વાળી ઘણી વાતો છે. પણ અત્યારે પત્નીને મિત્ર બનાવવાની કવાયત ઉપર વધારે સ્થીર થવાય તેવી એક ઘટના વાંચવામાં આવી. તેની નોંધ લઈને આગળ વધુ.
ગાંધીસાહેબનાં પત્નીને અલ્હાઈમર ( સ્મૃતિભ્રંશનો રોગ થઈ ગયો.) રોજની આદત પ્રમાણે તેમની પત્ની માટે ગરમ ગરમ ગાંઠીયા કે ફાફડા લઈને ગાંધી સાહેબ તેમના પત્નીને હોસ્પીટલમાં બ્રેક્ફાસ્ટ આપવા જાય.
એક વખત વધુપડતા વરસાદને લીધે ફાફડા વાળાનો સ્ટોર મોડો ખુલ્યો અને ગાંધીસાહેબ ઉંચા નીચા થઈ ગયા. ત્યારે ફાફડાવાળએ કહ્યું, 'આમેય તેમને સ્મૃતિભ્રંશ થયેલ છે તેમને શું ખબર પડે કે તમે મોડા પડ્યા છો ? ત્યારે ગાંધીસાહેબ બોલ્યા, "પણ મને તો ખબર પડેને ? તેણે મને જિંદગીનાં પચાસ વર્ષ મને સમયસર ખાવાનું આપ્યુછે ત્યારે હું તેને મોડુ કેમ પહોંચાડું ? પાછલી ઉંમરે બંને જણા માટે એક મેકની દરકાર આવે તે ખુબ જરુરી અંગ છે."
એક કલ્પના કરો સાથીની ખોટ સૌથી વધુ કોને પડે ? કુદરતી રીતે જ જે તેની સાથે વધુ રહ્યું હોય તેને જ ને ? નિવૃત્ત થયા પછી તે સાથીનાં બીજા આઠ કલાક તમે લઈ રહ્યા છો. તમને સમાચાર જોવા છે અને તેને ચિત્રહાર જોવું છેં. નિવૃત્ત થયા પછી તે બોલશે તો નહીં પણ તે સમયે રીમોટ તેને આપી દઈ સમાચાર જોવાનો આગ્રહ છોડી દેવો તે સાથીની દરકાર વધુ છે.
આ સમજ ગાંધીસાહેબને તેમના પત્નીને સ્મૃતિભ્રંશનો રોગ લાગુ પડ્યો પછી ખબર પડી. ખરી શોધખોળ કરીને જાણ્યું કે મેગ્નેશ્યમની ઉણપથી આ રોગ લાગે છે તે દિવસથી મેગ્નેશ્યમ માઇક્રો ન્યુટ્રંટ આપવા માંડ્યા અને પત્ની ને સાજા કરવામાં લાગી ગયા. ૫૦ વર્ષનાં સહવાસ પછી સમજાયું કે જીવન સાથીમાં પણ માનવસહજ અપેક્ષાયુક્ત વલણ હોઈ શકે. તેની ભાવનાઓ પણ માન આપવા યુક્ત હોઇ શકે. તેની પાસેથી એકલી “લાવ” કે “આપ”ની વાત ક્યારેક વધુ પડતી હોઇ શકે. તેને પણ પત્નીત્વનાં હક્કો જોઇતા હોઇ શકે…”તે પગની જૂતી..” ” આપણું કહ્યું કરે તેજ કરે” વાળું વલણ ખોટું.
ગાંધીસાહેબનાં બદલાવનાં એકાદ મહીના પછી પત્નીમાં સુધારાનાં લક્ષણો દેખાવા માંડ્યા ત્યારે પ્રભુ પાસે છલકતી આંખે તેઓ બોલ્યા પ્રભુ તારો ખુબ ખુબ આભાર. હવે સાથી સમજીને એના પ્રેમને માનથી જોઇશ. એ પત્ની છે તે મને જેટલો આદર આપે છે તેટલો આદર હું હવે તેને આપીશ.
ગાંધીસાહેબની પત્નીમાં આ રોગ આવવા માટે એક હતાશા મોટી હતી. તેઓ માનતા કે મારે સૌનું કરવાનું પણ મારું કહ્યું કોઇ ના માને. અરે કોઇ મને તો પુછે પણ ના. આ તે કેવી જિંદગી ?
ગાંધીસાહેબ આ વાતને સમજી ચુક્યાં હતાં તેથી હવે દરેક વાતમાં “પહેલા મારા લાઈફ પાર્ટનરને પુછી લઉં” પછી નક્કી કરીએ…કહી થોડો સમય માંગવા માંડ્યા. અને ત્રણ જ મહીનામાં ઘરનું ચિત્ર બદલાવા માંડ્યુ. બીન જરૂરી ખર્ચા અને વારંવાર ઘરમાં આવતા ફાસ્ટ ફૂડ બંધ થવા માંડ્યા અને ઘરમાં સમય સર સારું ખાવાનું બનવા માંડ્યુ. વધેલું ખાવાનું સમય સર ફ્રીઝમાં મુકાવા માંડ્યુ. અને ગ્રોસરીનૂં બીલ વધવા માંડ્યું. પણ હોટેલોનો ખર્ચો ઘટવા માંડ્યો.પૌત્ર અને પૌત્રીઓને સુખડી અને શીરો અને મોહન થાળ મળતો થયો તેથી દીકરા અને વહુઓ પણ રાજી થયા.
ગાંધીસાહેબ જોઇ રહ્યા હતા ઘરમાં સૌ તેમને માનથી જોતા થયાં હતાં તેથી હવે ભુલાવાનો અને ધ્યાન ચૂકનાં પ્રસંગો બનતા ન હતા. તેમના ઘણા સુચનો સારા પરિણામો લાવતા હતા. ખાસ તો દીકરીનાં સાસરવાસમાં સૌએ તેમને ” તુચ્છ” માની લીધા હતા ત્યાં વજન વધવા માંડ્યુ હતું.
વહેવારની વાતોમાં દીકરાની સાસરીમાં કોઠા સૂઝ્થી એવો ઉકેલ શોધી કાઢ્યો હતો કે લાકડી ભાંગે નહી અને સાપ મરી જાય. ટાણે કટાણે વહેવારનાં નામે પૈસા કઢાવતા જમાઇ અને સાસુનેના કહ્યા વિના પરિસ્થિતિ જ એવી ઉભી કરી કે વહેવાર ઉછીના લેતા હોય તેવું લાગે અને પાછો ઉપર હાથ રાખતા હોય તેમ કહ્યું. આ પૈસા મહીનામાં વાળી દેજો કારણ કે અમારામાં તો રીવાજ નથી પણ તમારી વાતનું માન રાખવા તમે કહ્યું અને અમે વર્ત્યા. બાકી સાસરે દીકરીને વળાવી એટલે અમારે વર્તવાની જરૂર નહીં
ગાંધીસાહેબ હવે પાંચમાં પુછાવા માંડ્યા હતા. પહેલા એમને કંઇ કહેવાતું નહીં પણ હવે “મારા લાઈફ પાર્ટનરને પુછી લઉં “ની ઢાલે તેમને ડાહ્યા લોકોમાં ગણાવા લાગ્યા. પહેલા એકડો અને શુન્ય જુદા હતા. સૌથી નાના અને અર્થહીન. પણ હવે ભેગા થયા એટલે “દસત્વ” મળ્યું. એમની દ્રષ્ટી બદલાઈ. ભોળી અને અક્કલહીન લાગતી પત્નીની વાતોમાં કૂશળતા દેખાવા લાગી. ક્યારેય ન કહેલું અને આંખનાં ઇશારે સમજાઇ જતું મૌન એ લાંબો સહજીવન નો અહેસાસ..
મૌનનો ગુંજારવ
લાંબા સથવારાનો શાંત એ સંવાદ
નીરવ, ના નાદ તોય સૂણું એનો સાદ
મંજુલ એ પ્રેમરાગ કેટલીયે રાત
રસિલી લય રચના અનેક વિધ વાત
કોઇ દિન લાગે અતિબોલ ને વિવાદ
અબોલાની આડ હાર જીતની ફરિયાદ
તીનતારા ગુંજનમાં ભળે નવા સૂર
કલરવ ને કલબલમાં અટવાતા સૂર
સંધ્યાની છાંયડી ને મીઠો મનરવ
તારો ને મારો આ મૌનનો ગુંજારવ
સરયૂ પરીખ
નિવૃત્તિ પછીનું સૌથી કઠીન કામ છે એક મેકને જેમ છે તેમ સ્વિકારવાના. કારણ કે ભરત ભાઇએ તેમના કાવ્યમાં કહ્યું તેમ પત્ની સાથેનું આખુ જીવન હવે માત્ર મિત્રતા, કેવી વિચિત્રતા, મમતા અધિક, નામાદકતા.