ઇશ્કે હકીકી ગઝલ આતમ વાણી
ઇશ્કે હકીકી ગઝલ આતમ વાણી
સદગુરુ મળિયા મુને ને જીવની આ જાત મે જાણી,
દેહ નગરીમાં પછી સંતો ધજાયું શ્વેત લ્હેરાણી.
સત્ શબદની આપી છે માળા ને ભીતર ઉઘડી ગ્યાં તાળાં,
એવું તો છે તીર માર્યું, શાંત થઇ ગ્યું ઓટનું પાણી.
'હું'પણાથી કામ સઘળું કરતા તા પે'લાં'ને, હમણાંથી-
તો જગત આખામહીં સઘળે જ છે સમદ્રષ્ટિ વરતાણી.
ગુરુજી તારો પાર ના પાયો શી રીતે ચૂકવું હું ૠણ!
સંગ તારો શું થયો ! બદલાઇ ગઇ છે મારી જીહ્વાણી.
ગુરુ મળે પૂરા ને ચેલા જો મળે શૂરા તો કાંઇક થાય,
નહિ તો જાવાના મરી માણસુ ભજનમાં રાગડા તાણી.
"દાસ દિનકરગુરુ" પ્રતાપે દાસ "વિજયાનંદ" ગાવે રે,
કે મરમ મોંઘા આ મનખા દેહનો લેજો તમે જાણી.