જિંદગીનો સાર
જિંદગીનો સાર
પરમ તત્વને પામવામાં સાર છે જિંદગીનો.
આતમને ઓળખવામાં સાર છે જિંદગીનો.
ઇચ્છાઓની પૂર્તતા કાજે મથ્યા કેટકેટલું,
સત્યને સમજવામાં સાર છે જિંદગીનો.
હાથમાં કશું આવ્યું નહિ મૃગજળ એ તો,
ધીમેધીમે ત્યજવામાં સાર છે જિંદગીનો.
મૂકી વાત મમત્વની હરિશરણે જવાનું છે,
અંતરયામીને ભજવામાં સાર છે જિંદગીનો.
આજલગીનો રસ્તો મોહમાયાનો જ રહ્યો,
પ્રભુના આખરે થાવામાં સાર છે જિંદગીનો.