એ જ અરીસો
એ જ અરીસો
એ સંમોહનકલામાં પારંગત !
અને
મોં પર કૃત્રિમ ચળકાટ લાવવા
ખુદનો વાંસો રાતોચોળ કરાવી નાખે એવો પણ !
કોણ જાણે
કેટલીય ચકલીઓ વશીભૂત થઈ
ખેંચાઈ આવી હશે.
પ્રણયની પરાકાષ્ઠાએ
તસતસતું ચૂંબન આપવા જતી ઘેલીની
ચાંચ જ તોડી નાખવામાં એ ગર્વ અનુભવતો...
આજે, વિશ્વ ચકલી દિવસે,
એ જ અરીસો
ચકલીઓની ઘટતી જતી વસ્તી વિશે કવિતા કરી
દાદ ઉપર દાદ મેળવી રહ્યો છે!