અનુભવનો આત્મવિશ્વાસ
અનુભવનો આત્મવિશ્વાસ
અનુભવનો એક અલગ અનોખો જ આત્મવિશ્વાસ હોય છે,
હર શ્વાસે નવા જીવનનો એક આંતરિક અહેસાસ હોય છે !!
કૃષ્ણ કરતા પણ કૃષ્ણત્વ જો થઇ જાય આત્મસાત એકવાર,
પછી ભીતર રાધા ને શ્વસોચ્છશ્વાસમાં જ મહારાસ હોય છે !!
જો ક્યારેક મોકો મળે તો ઝાંકી લેજો ત્રાસવાદીની આંખમાં,
ભીતર એનેય એક ખાલીપાનો અનોખો મહાત્રાસ હોય છે !!
એક ઇન્તજાર એનો પલ પલ પણ કેટલો પ્રેમાળ હોય શકે છે,
એક આંખમાં ખુશીનું આંસુ ને બીજી અમથી ઉદાસ હોય છે !!
ને ઉમ્મીદ તો જાણે બે શ્વાસ વચ્ચે નું અદ્રશ્ય એક પ્રતિફલન,
ધ્યાનસ્થ દશાની ત્યાં જ છુપાયેલી એક અમર આશ હોય છે !!
ઉન્માદ અસ્તિત્તવનો જ પ્રગટે અનુભૂતિ બની મુજ ભીતર,
પછી વજૂદ મારું ખોવાઈને ન જાણે કોની આસપાસ હોય છે !!
ને એક ધણ અમૂલ્ય શૂન્યોનું ઉતરી પડે અનંતથી અચાનક,
"પરમ" મનની ગો-ધૂલી વચ્ચે એક "પાગલ" પ્રકાશ હોય છે !!