નિર્ણય
નિર્ણય
દિવાલોને કૂદી શકાય તો પણ શું ?
મનની ઊંચી ઊંચી દીવાલો અને તેની પેલે પાર શું હશે?
જીવ તેની કલ્પના કરતા કરતા એક એવી દુનિયામાં જઈ પહોચે છે.
જ્યાં માત્ર દુ:ખ, પીડા, વેદના અને આંસુઓ જ હશે કે શું ?
તે પણ ક્યા કોઈ જાણે છે!
સંબંધોની સચ્ચાઈ, પૂરાવાઓ દ્વારા એકત્રિત નથી થતી ત્યારે
શંકાના વર્તુળો મજબૂર કરે છે અને મજબૂત કરે છે તર્ક
વિતર્ક અને એવું તો ઘણું બધું અને જેલ ચણાયે જાય છે.
મુક્તિ ત્યાંથી હજારો યોજન દૂર થઇ જાય છે....
સહજ, સરળ અને સમજદારીથી જીવાતી જિંદગીનો અર્થ પછીતો
બદલાતો જ જાય છે....!
સ્વ સંબંધો અંગત રીતે સચવાતા હોય તો તો ક્યા કોઈ પ્રશ્ન જ રહે છે....
આ તો સમાજમાં રહીને સમાજને છેતરવાની વાત છે...
સંબંધને છેતરવાની વાત છે!
બધા બધું જ ચલાવી લેતા હોય છે.
એટલે મારે પણ?
અલગ રીતે સચવાતા સંબંધો જ્યારે ગુપ્તા રીતે સચવાતા હોય છે,
અને તે પવિત્ર હોય તો પણ
તે જે ક્ષણે ખૂલ્લા થાય છે ત્યારે ઘણો અનર્થ સર્જે છે.
આ ગુપ્ત કે સુગુપ્ત હોવું, રહેવું કે રહેવા દેવું
ઘણી વાર મૂળભુત સંબંધોને તોડી નાખે છે.
અચાનક કોઈનામાં કશુક એવું દેખાવું અને
પછી એને પ્રાપ્ત કરવા
ઘણીવાર કેટકેટલી યોજનાઓ બનતી હોય છે અને
બધું જ સરસ થઇ ગયું એનો આનંદ.
[ શેનો આનંદ ]
શાશ્વત ક્યારેય રહેતો નથી!
માત્ર થોડી મુલાકાતો, થોડા પ્રશ્નોની આપ લે, બે ચાર સ્મિત.
આકર્ષણની દુનિયા પણ ગજબની હોય છે.
બહુ જ લપસણી ભૂમિ.
એવા સંબંધોને સાચવવામાં બીજા કેટકેટલાં સંબંધો
ભાંગીને ભૂક્કો થઇ જતા હોય છે.તો પણ,
ગમતો સંબંધ જાળવવાની મથામણ તો સતત ચાલુ જ રહેતી હોય છે.
એટલે જ
નથી જોઈતી આ સંબંધોની માયાજાળ.
જ્યાં છેતરપિંડી, અકળામણ અને મૂંઝારા સિવાય કશું જ નથી,
હોતું જ નથી.
અને કોઈ સંબંધ ક્યારેય ક્યા શાશ્વત રહ્યો છે કે રહેશે?
અંદરની અનુભૂતિ અને ભીતરનો આનંદ,
બસ ઘણું થયું!
સમય બધું જ ભૂલાવી દેતો હોય છે.
તો એ પણ સત્ય છે કે,
સમય બધું જ ખૂલ્લું પણ કરતો હોય છે.
અસહ્ય યાતનાથી ભરેલી એવી જિંદગી હવે નથી જીવવી.
બીજાને જે રીતે જીવવું હોય તે રીતે જીવે.
હું મારી જાત સાથે સમજૂતી કરીશ નહિ.
આ મારી પોતાની સમજ છે.જે મારું સત્ય છે.
મને સમજાવવાના પ્રયત્નો પણ થવાના.
પણ બહુ સહન કરી લીધું અને બહુ બધાને સહન પણ કરાવ્યું.
સૌને સૌનું સુખ મુબારક.
આપણી ઈચ્છા મુજબ બધું થતું નથી,ન જ થાય,ન જ થવું જોઈએ,
અને તો જ સમજાય કે,
આ બધું માત્ર અને માત્ર ભ્રમણા છે.
ગમી જવું, તેને મેળવવા ઈચ્છા કરવી, દોડવું,મેળવી લેવું.
અંતે તેનાથી પણ થાકી જવું.અને,
ફરી એક નવી દોડ, નવો થાક અને ખાલી ખાલી હાથ!
મને પણ એમ હતું કે
મેં જે મેળવ્યું છે તે હવે મારું જ રહેશે.
અપાર આનંદ મેં પણ અનુભવેલો,
અને આજે આ મારાપણાનો બોજ,
માલિકીભાવ.
કડડભૂસ...
હવે તો એણે પણ કહી દીધું છે કે –
તમે કહેશો તેમ નહિ રહેવાય,
નહિ જીવાય.નહિ વર્તાય!
એક ઝાટકે બધાથી પર થઇ ગયો છું.
આ અમસ્તું નથી થયું.
થાબડભાણામાં મને ક્યારેય રસ નથી રહ્યો ,
અને –
એટલે તો હું પણ મુક્ત થઇ ગયો છું,
સૌને મુક્ત કરીને....
કદાચ જિંદગીનું આજ સત્ય છે,