સન્નાટાનો શોરબકોર
સન્નાટાનો શોરબકોર
ઈન્સાનોમાં પણ જેને કદી ના મળી શક્યો તું ખુદા,
પછી પથ્થરોમાં તો તું કેવી રીતે એને મળવાનો?
મારી આંખોમાં આંખો પરોવીને રુદિયામાં ઉતરો,
એ તો આપણા બે ધબકાર વચ્ચે જ સળવળવાનો.
ભાષાઓ થઇ જાય વિલીન અને ઉતરે જો મૌન,
આ જ તો અસલી છે એક કીમિયો એને કળવાનો.
આ ભટકન સઘળી જો થઇ જાયને બંધ અચાનક,
તો પછી સ્થિરતામાં જ એ સરળતાથી મળવાનો.
ને પથ્થર આ અહંકારનો હટી જાય જો સમજણથી,
પછી ચટ્ટાનમાંથી એ ઝરણાની જેમ ખળખળવાનો.
બંધ આંખે સંકોચાઈ જાવ જો એક ક્ષણ પણ ભીતર,
એ તો અસીમ બનીને પછી અનંતમાં વિસ્તરવાનો.
એક હાથની તાળીમા તો શોરબકોર છે સન્નાટાનો,
ને આપણા મિલનમાં ખાલીપો બની ખળભળવાનો.
મેં તો "પરમ" શાંતિનાં ખેતરમાં વાવ્યા ઉજાગરા,
એ હવે જાગરણ બની "પાગલ"ની જેમ ઊગવાનો.