પાગલ અભરખા
પાગલ અભરખા
મદીનાની મતવાલી ગલિયોમાં ગગન ગજાવતાં;
મીરા અને નરસિંહના ભવ્ય ભજનો ગુંજતા હતાં...
ને કરબલાની કિલ્લાવાળી મિનારા - મસ્જીદમાં...
કુરાનની આયાતો કાશીના પંડિતો શીખતા હતા...
કારણ કે સળગાવે તેવા કોઈ પણ ધર્મ જ નહોતા!
ગુંજન ગીતા-રામાયણનું મૌલવીઓના મુખેથી...
અયોધ્યાના મંદિરોમાં માઝા મૂકતું હતું- તો-
રામ-રામ રહીમ; ને વળી કરીમ જયશ્રી કૃષ્ણ-
બોલીને સૌ ઝૂકીને સલામો સહજ ભાવે ભરતા'તા...
કારણ કે હિંદુ-મુસ્લિમથી સૌ કોઈ અપરિચિત હતા!
ક્રાઈષ્ટના અનુયાયીઓ આરામથી આપસમાં...
વેટીકન સીટીના ચર્ચમાં; રામ અને કૃષ્ણની...
ગહન ચર્ચામાં; ભારે મશગુલ હતા અને ત્યારે જ...
પોપ-પાદરી-પુજારીને મૌલવીઓ રોજની જેમ...
એક કમ્યુનમાં ભેળા બેસીને ભોજન કરતા હતા!
કારગીલની ટોચે બાંકે બિહારી અટલ બનીને...
મિયા મુશર્રફ ને સાચુકલા ભાવથી ભેટતા હતા...
ને દિલ્હી - લાહોર વચ્ચે બસ-બસ રમતા નહોતા...
અને મંદિર-મસ્જીદ એક જ ભવનના બે હિસ્સા હતા...
કારણ કે હિન્દના ભારત-પાક જેવા ભાગલા નહોતા!
બુશ અને લાદેન બ્રિટનમાં બ્લેર ભાઈને ઘેર...
સદ્દામ હુસેન સંગ મુશાયરામાં મશગુલ હતા...
દુશ્મનીથી સૌ અપરિચિત ને પ્રેમથી જ પરિચિત...
એવા પૃથ્વી પ્રાંતમાં ક્યાય સંરક્ષણ ખાતા નહોતા...
કારણ કે સીમાવાળા દેશના કોઈ જ નકશા નહોતા!
આ વિચારો તો મુજ અદ્રશ્ય અચેતને - સુપ્રભાતે...
પ્રગટેલા ઝાકળ બિંદુઓ જેવાં શુધ્ધ ને સત્ય હતા...
મરક-મરક અધરોએ ને બંધ બીડેલા નયનોમાં.....
મારા અંતર આકાશે સપના બનીને અકબંધ હતાં.....
કે "પરમ" પામ્યા પછી આ "પાગલ" અભરખાં હતા?!