યહ તેરા ઘર યહ મેરા ઘર
યહ તેરા ઘર યહ મેરા ઘર
એક વૃક્ષ પર કેટલીક મધમાખીઓએ મધપૂડો બાંધ્યો હતો. હવે બન્યું એવું કે એક દિવસ ત્યાં કેટલીક માખીઓ બણબણતી આવી ચઢી. મધપૂડો જોઈ માખીઓનું મન લલચાયું તેમણે વિચાર્યું કે, “જો આ મધમાખીઓને ભગાડી તેઓ જ આ મધપૂડા પર કબજો જમાવી લે તો ?”
આવો દુષ્ટ વિચાર આવતા જ માખીઓ મધપૂડા પાસે જઈ ઊભી રહી. અને “આ મધપૂડો અમારો છે” એમ કહી મધમાખીઓ સાથે લડવા લાગી. તેઓ વચ્ચે ચાલતી તકરાર સાંભળી એક પોપટ આવી તે વૃક્ષની ડાળી પર બેઠો અને બોલ્યો, “અરે તમે લોકો આપસમાં કેમ ઝઘડી રહ્યા છો ?”
મધમાખી અને માખીઓએ પોપટને ઝગડાનું કારણ કહ્યું. બંનેની વાત સાંભળી પોપટે કહ્યું, “આનો ઉકેલ તો સાવ સરળ છે. એક કામ કરો તમે બંને મળીને જુદો જુદો એક નવો મધપૂડો બનાવો. પછી હું છીદ્રનો ઘાટ અને મધનો સ્વાદ સરખાવી જોઇશ અને તે પરથી આ વૃક્ષ પરના મધપુડાનો ખરો માલિક કોણ છે તે મને આરામથી ખબર પડી જશે.”
પોપટની વાત સાંભળી મધમાખીઓ તરત તૈયાર થઇ ગઈ. પરંતુ માખીઓને મધપૂડો બનાવતાં ક્યાંથી આવડે ! તેથી તેઓ નારાજ થઈને પોપટને ગાળો ભાંડતી ત્યાંથી ઊડી ગઈ.
બોધ : બાળકો જોયું ? આમ જુઠ્ઠાણું લાંબો સમય ચાલતું નથી.