ઊર્જાનો સ્ત્રોત સૂર્ય
ઊર્જાનો સ્ત્રોત સૂર્ય
"મારી મહેંદીનો રંગ ઊડી જાય રે સૂરજ ધીમા તપો "લોકગીતમાં કોડીલી કન્યાએ સૂરજ ને મીઠી ટકોર કરી છે. સૂર્યોદયનો અને સૂર્યાસ્તનો સૂરજ અદ્વિતિય આનંદ આપનારો હોય છે પણ મધ્યાહ્નનો સૂરજ સૌને આકરો લાગે છે.
આપણું મન પણ વિચિત્ર છે. ઉનાળામાં તાપથી બચવા છાંયડો શોધીએ અને શિયાળામાં સૂરજનો તડકો શોધીએ. જે હોય તે પણ સૂરજનો તાપ નથી તો જીવન પણ નથી. કેમકે તાપ છે તો ગરમી છે અને ગરમી છે તો વાદળ છે. વાદળ છે તો વરસાદ છે અને વરસાદ છે તો જળ છે. અને જળ એ તો જીવન છે. સમગ સજીવ સૃષ્ટિ જળના આધારે જ અસ્તિત્વ ધરાવે છે. એટલે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય જ પૃથ્વીની હરિયાળી માટે જવાબદાર છે. લીલા પાકથી લહેરાતા ખેતરનો પ્રાણદાતા સૂર્ય જ છે. સૂર્ય વિનાના જીવનની કલ્પના પણ ના થઈ શકે. આવી સૃષ્ટિ આના આધારે જ ટકે રહી છે. સૂર્યના મહત્વ વિશે શબ્દોમાં લખવું અશક્ય છે. આપી પૃથ્વીના ઝાડવાંની લેખની અને દરિયાના પાણીની શાહી બનાવીને લખવામાં આવે તો પણ લખવું અશક્ય છે. સૂર્યને આપણી સંસ્કૃતિમા દેવ માનવામાં આવે છે અને ઘણાં પરિવારમાં તો સવારે ઊઠતા વેત સૂર્યની જળ ચઢાવવામાં આવે છે.
સવારે સૂર્યનાં પહેલાં કિરણો ખેતરમાં પડે ત્યારે જાણે સોનું લહેરાતું હોય એવું દ્રશ્ય સામે આવે. સંધ્યા સમયે પણ આખું આકાશ પીળા રંગે રંગાઈ જાય છે. વળી બપોરે ચોખ્ખું કે વાદળછાયું આકાશ દેખાય છે રૂના ઢગલા જેવા વાદળો માન મોહી લે છે. સૂર્યના કારણે આકાશનાં અવનવા રૂપો જોવા મળે છે.
આધુનિક યુગમાં તો સોલર પેનલ લગાવીને સૂર્યની ઊર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. આમ પૃથ્વીની ઉત્પત્તિથી લઈને આજ સુધી સૂર્ય જ આપણા જીવનની આધાર રૂપકડી બન્યો છે. આથી જ યોગ્ય જ કહ્યું છે : સૂર્ય દેવાય નમઃ