ઉદય ભાગ ૬
ઉદય ભાગ ૬
આજે પંખીડાઓના કલબલાટથી સવારે વહેલો ઉઠી ગયો. તેને સવારે પંખીડાઓ નો કલબલાટ સાંભળવો ખુબ ગમતો. સવારે નાહીધોઈ ને પરવારી રહ્યો ત્યાં દૂરથી મફાકાકા અને દેવાંશી આવતા દેખાણા તો નટુના પેટમાં ફાળ પડી કે રખે તેની સાચી ઓળખ તો મળી નથી ગઇ. કાકા એ આવીને કહ્યું " નટુભાઈ આ બુન તામર હંગાથ વાત કરવા માગ સ, ઈમના કૉલેજનો કોક ચોપડો લઈન આયા સ શું કે ઈન ઓવ કોક ઇન્ટરયુ લેવું સ ઇમ કેતા તા. તે અવ ઘડી વાર શોન્તી થી વાત કરો કોમ નું રોમલા ન કઈ દઉં સુ. એમ કહીને કાકા નીકળી ગયા અને જે રીતે દેવાંશી તેને નિહાળી રહી હતી તેનું હૃદય ધબકારા ચુકી ગયું. તો પણ ભોળપણનું નાટક ચાલુ રાખીને કહ્યું મારા ઇન્ટરયુની કાય જરૂર નથી અમે તો રિયા નાના માણસ. ને આજે બોવ જ કામ છે.
દેવાંશી એકીટશે તાકી રહી અને બોલી નાટક કરવાનું બંધ કરો ડૉક્ટર પલ્લવ ઓઝા. હું તમને ઓળખી ગઇ છું. હવે તમે તમારા મોઢે તમારું સત્ય કહો છો કે પછી તમારું જે સત્ય પેપરમાં છપાયું છે તે બધાને કહું. હું ફક્ત સત્ય જાણવા માંગુ છું મને ખબર છે કે જે વાતો પેપરમાં આવી હતી તે બધી અર્ધસત્ય છે. સાયકોલોજીની સ્ટુડન્ટ છું, ફક્ત સ્ટોરી વાંચીને કહી શકું કે સત્ય છે કે અર્ધસત્ય કે પછી પૂરું જુઠ્ઠાણું છે. નટુ એ કહ્યું કે હું પલ્લવ છું તે સત્ય છે પણ હવે ડૉક્ટર નથી રહ્યો અને જે સત્ય જાણવા માંગો છો, હવે તે હું ખુદથી પણ છુપાવવા માંગુ છું. હું જેલમાં સજા કાપીને આવ્યો છું તે સત્ય છે પણ મને ખોટી રીતે સંડોવવામાં આવ્યો હતો તે પણ તેટ્લુ જ સત્ય છે. પણ હવે મારુ સત્ય સાબિત કરીને પણ કોઈ ફાયદો નથી કારણ હું નિર્દોષ સાબિત થઈશ તોય મારી પત્ની અને મારુ બાળક મને પાછું નહિ મળે. તેના કરતા ભલેને ત્યાં મારા નામ સાથે બળાત્કારીનું વિશેષણ જોડાયેલ રહેતું, ભલે ને એમ કહેવાતું કે સજા પૂર્ણ થયા પછી મેં આત્મહત્યા કરી લીધી તેમ કહેવાતું. ખરેખર તો મેં આત્મહત્યા કરવા જ નહેરમાં ઝમ્પલાવ્યું હતું પણ કદાચ કોઈ કામ બાકી હશે, મારા હાથથી થવાનું એટલે બચી ગયો. મનુષ્ય વિચારે છે કાંઈ અને થાય છે જુદું. ઈશ્વરની ઈચ્છા હોય તેવું જ થાય બાકી મનુષ્યના હાથમાં કાંઈ નથી.
દેવાંશી બોલી આ સાયકોલોજીના પ્રોફેસરના શબ્દો ના હોઈ શકે આ તો હતાશ વ્યક્તિના શબ્દો છે. પલ્લવે કહ્યું આ હતાશા નથી દેવાંશીજી આ તો મેં જાણેલું સત્ય છે અને બીલીવ મી કે મને કોઈ પણ વાતનો અફસોસ નથી, મેં પરિસ્થિતિનો સ્વીકાર કર્યો છે તેથી અત્યારે ખુશ છું. મેં આભની ઊંચાઈ પણ જોઈ લીધી અને પાતાળની ગહેરાઈ પણ જોઈ છે. પ્રખ્યાતિ પણ જોઈ લીધી છે અને કુખ્યાતી પણ. હવે બસ આ નાના ગામમાં પ્રેમથી રહેવું છે અને શાંતિથી જીવવું છે. લોકોની સેવા ના થાય કાંઈ નહિ, આ ધરતીની તો સેવા કરું છું. દેવાંશી આશ્ચર્યથી જોઈ રહી કે કઇ રીતે કોઈ વ્યક્તિ પરિસ્થિતિથી સમાધાન કરી શકે. તેની પર આટલા ભયાનક આરોપ અને પત્ની અને બાળકનું મૃત્યુ. દેવાંશી બોલી કે હવે મારી ઉત્કંઠા વધી ગયી છે, તમે મને તમારી પૂર્ણ સ્ટોરી સંભળાવો કે આટલી જબરદસ્ત સફળતા પછી પતન કેવી રીતે થયું. સત્ય શું છે તે મને કહો ? દેવાંશીના છેલ્લા વાક્યમાં આજીજી નહિ પણ એક સત્તાવાહી રણકો હતો તે પલ્લવના કાનમાં ગુંજી રહ્યો, જેવો શોભાના અવાજમાં હતો.