ઉદય ભાગ ૩૧
ઉદય ભાગ ૩૧
ભભૂતનાથ દેવાંશીને લઈને પાંચમા પરિમાણમાં પહોંચ્યા. ખંડમાં જઈને જોયું ઉદય હજી બેભાન હતો. દેવાંશી પણ બેહોશ હતી. ભભૂતનાથે તેને એક ચટાઈ પર સુવડાવી અને તેના ચેહરા પર થોડું પાણી છાંટ્યું. થોડીવાર પછી દેવાંશીને કળ વળી અને હોશમાં આવી. હોશમાં આવ્યા પછી તેને ચારે તરફ નજર કરી. તેની નજર ભભૂતનાથ સાથે મળતાજ તેને ચીસ પડી અને ખંડમાં ચારે તરફ દોડવા લાગી. તેને ભભૂતનાથે શાંત પડી અને કહ્યું કે પુત્રી તું ડર નહિ તું અત્યારે ગીરની ગુફામાં છે તને અહીં મહત્વના કારણસર લાવવામાં આવી છે. તને અહીં પલ્લવનો જીવ બચાવવા માટે લાવવામાં આવી છે. તેનો જીવ ફક્ત તું બચાવી શકે છે. તેની નજર પલ્લવ પર પડી પણ તેને જોયેલ પલ્લવ અને આ પલ્લવમાં ખુબ ફરક હતો.
વિધિની અજબ વક્રતા હતી જે વ્યક્તિ ને તે પહેલા મળી પણ ન હતી તેને તે પ્રેમ કરતી હતી, કારણ હતું અસીમાનંદે તેના મગજમાં ભરેલી યાદો. અસીમાનંદ દેવાંશી બનીને ઉદયને મળ્યો હતો અને જે વાતચીત થઇ હતી તેની યાદો દેવાંશીના મગજમાં ભરી દીધી હતી.
તે ઉદયની પાસે ગઈ અને નીરખીને તેનું મુખ જોયું અને ભભૂતનાથની તરફ ફરીને પૂછ્યું પલ્લવને શું થયું છે અને તેને મમીની જેમ કેમ બાંધ્યો છે ? તેના પર ઘાતક હુમલો થયો છે અને તેને શહેરમાં લઇ જવાની સગવડ ન હોવાથી તેને આયુર્વેદિક દવાનો લેપ લગાડી પટ્ટીઓ બાંધી છે. પણ તે ઊંઘમાં તમારું નામ લેતો હતો તેથી તમને લઇ આવ્યા. દેવાંશી એ તેનો હાથ હાથમાં લીધો અને જાણે ચમત્કાર થયો જાણે કોઈ વીજળીનો પ્રવાહ શરીરમાંથી પસાર થતો હોય તેમ ઉદયનું શરીર ધ્રુજી ઉઠ્યું. બે ક્ષણ માટે તો દેવાંશી પણ ડરી ગઈ પણ તેણે ઉદયનો હાથ ન છોડ્યો. એક ધારો શક્તિનો પ્રવાહ ઉદયના શરીરમાંથી વહી રહ્યો. ઉદયે આંખો ખોલીને જોયું તો દેવાંશી તેની બાજુમાં બેઠી હતી.
તેના શરીર ફરતે વીંટાળેલું વસ્ત્ર ફાટી ગયું હતું. તે ઉભો થયો અને દેવાંશી સામે જોઈને કહ્યું કે દેવાંશી તારી ક્યારથી રાહ જોતો હતો અને ભભૂતનાથ તરફ જોઈને કહ્યું અસીમાનંદ રણમાં યુદ્ધની તૈયારી કરી રહ્યો છે. તમે તેનો સામનો કરવા જાઓ, હું આપણા ભાઈઓને છોડાવીને તમને મળું છું. ઉદયના અવાજમાં રહેલી દૃઢતાએ ભભૂતનાથને આદેશ માનવા મજબુર કર્યો.
ઉદયના શરીરમાંથી અદભુત શક્તિ નીકળી રહી હતી. હવે તે ઉદય ન રહ્યો હતો તે ઉદયશંકરનાથ બની ગયો હતો. તે દેવાંશી તરફ ફર્યો અને કહ્યું આ મારુ અધૂરું રહેલું યુદ્ધ છે તું અહીં રહીને મારી રાહ જો. યુદ્ધ પૂર્ણ થયા પછી હું તને સમજાવીશ. દેવાંશીના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા પણ તે પૂછી ન શકી. તેને ફક્ત ભલે કહ્યું. ભભૂતનાથ ત્યાં સુધીમાં બહાર નીકળી ગયા હતા. તે બહાર નીકળીને રણ તરફ ગયા અને ઉદય બીજી દિશામાં વધી ગયો.
બંને દિવ્યપુરૂષ હતા એક વિશાલ સેના જેટલું બળ તેમનામાં હતું. ભભૂતનાથ ના હાથમાં ફરસો હતો. રણમાં જઈને જોયું તો સામે એક વિશાલ સેના દેખાતી હતી. તેમને ફારસની ધાર પર આંગળી ફેરવી અને અસીમાનંદને સાદ આપી કહ્યું કે હવે બસ કરો અસીમનાથ તમે એક દિવ્યપુરૂષ છો તમને આ બધું શોભતું નથી તમે સત્યના પક્ષે આવી જાઓ. અસીમાનંદે સામે હસીને કહ્યું કોણ અસીમનાથ હું તો અસીમાનંદ છું અને કેવું સત્ય, મહાશક્તિ કહે તે. મહાશક્તિઓએ ફક્ત આપણો ઉપયોગ કર્યો છે પોતાના કાર્યો સિદ્ધ કરવામાં. તેમણે આપણને શક્તિ આપી પણ તેનો ઉપયોગ કરવાનો અધિકાર નહિ. આપણે દિવ્ય પુરુષ નહિ પણ તેમના હાથની કઠપૂતળી છીએ. કર્મના નામે આપણી સાથે છેતરપિંડી થાય છે. કેવું કર્મ તે કહે તેમને મારવાના, તે ગુનેગાર છે કે નહિ તે જાણ્યા વગર. શું ગુનો હતો રાવણનો ફક્ત એટલો જ રામની પત્નીને ઉપાડી લાવ્યો, તે વખતમાં બધાજ રાજાઓ તેવું કરતા અરે તેણે તો હાથ પણ નહોતો લગાડ્યો સીતાને. તે મારી નજરમાં ગુનેગાર નહોતો તે છતાં મારે યુદ્ધમાં શામિલ થવું પડ્યું અને તેના અનેક સૈનિકોનો વધ કરવો પડ્યો ફક્ત કર્મના આદેશના લીધે.
શું ગુનો હતો દુર્યોધનનો તેના પિતા રાજા હતા અને રાજાનો પુત્ર રાજા હોય છે, તે ગુનેગાર અને પાંચ જણ મળીને એક સ્ત્રીને પરણે તે પવિત્ર પુરુષો. જે પોતાની પત્નીને જુગારમાં હારે તે પવિત્ર. દાસી સાથે તે વખતે કેવો વ્યવહાર થતો હતો તે તો તમને ખબર છે જો દુર્યોધને તેનું વસ્ત્રાહરણ કરવાયું તેમાં ખોટું શું હતું.
શું ગુનો હતો હિટલરનો, તે ફક્ત તેના દેશવાસીઓ સાથે થયેલ અન્યાયનો બદલો લેતો હતો. શું કર્યું હતું મોટા દેશો એ તે સત્તા પર આવ્યો તેના પહેલા શું તેની જાણ નથી તમને. કઠપૂતળીની માફક આપણે જેને મારવાનો કે હરાવવાનો આદેશ થયો તેનું પાલન કર્યું. ફક્ત ફરજો હતી હકો કોઈ નહિ. તમે કોઈને પ્રેમ ન કરી શકો કોઈને પત્ની ન બનાવી શકો.
શું ગુનો હતો વિયેતનામના લોકોનો, તેઓ ફક્ત દેશની સંપ્રભુતા માટે લડતા હતા અને આપણને કહેવામાં આવ્યું તેમને હરાવો તેથી જ તે વખતે મેં ઇન્કાર કર્યો અને તેમને જીતવામાં મદદ કરી. આજે હું સ્વતંત્ર છું કોઈની કઠપૂતળી નહિ અને કોઈનો ગુલામ પણ નહિ. મને શક્તિ મળી છે તો તેનો યથેચ્છ ઉપયોગ પણ કરીશ અને સત્તાધીશ પણ બનીશ. કોણ રોકશે મને મહાશક્તિ ની કઠપૂતળીઓ. અસીમાનંદે અટ્ટહાસ્ય કર્યું અને પૂછ્યું છે કોઈ જવાબ તમારી પાસે મારી વાતનો ભભૂતનાથ? હું તમને આવ્હાન કરું છું ગુલામી છોડો અને મારો સાથ આપો. શક્તિનો ઉપયોગ કરીને જગતને સુંદર બનાવો.
મહાશક્તિ ફક્ત પોતાનું વર્ચસ્વ રહે તે માટે બધાને અંદરોઅંદર લડાવે છે. જો આપણે બંને મળી જઈશું અને જગતની બધી બદીઓ દૂર કરીશું. જવાબ આપો ભભૂતનાથ.
ભભૂતનાથની પાછળથી એક અવાજ આવ્યો " જવાબ હું આપું છું. "