ઉદય ભાગ ૨૧
ઉદય ભાગ ૨૧


અસીમાનંદ આશ્રમ પહોંચ્યા પછી પોતાનો દંડ ઉપાડ્યો અને સેવકને બોલાવીને કહ્યું કે હિમાલય તરફ તપશ્ચર્યા કરવા જાઉં છું અને હવે મારા આવતા સુધી આશ્રમનો કાર્યભાર સ્વામી સત્યાનંદ સંભાળશે. હિમાલય તરફ એકલો જ પ્રયાણ કરીશ કોઈએ સાથે આવવાની જરૂર નથી. સત્યાનંદ સ્વામી એ પૂછ્યું સત્સંગ હજી બાકી છે, એનું શું થશે ? બાકીનો સત્સંગનો કાર્યક્રમ તમે આગળ ધપાવો અને આગળ વધુ સવાલ પૂછશો નહિ. અસીમાનંદનો કડક જવાબ સાંભળી આગળ કોઈએ કઈ પૂછ્યું નહિ.
અસીમાનંદ એક અદભુત વ્યક્તિત્વના સ્વામી સવા ૬ ફૂટની પડછંદ કાયા, માંજરી આંખો, માથે મુંડન અને દાઢી સફાચટ. ભગવા વસ્ત્રમાં તેઓ ખુબ શોભી ઉઠતા તેમના ચેહરા પર તેજ અને સમુદ્ર જેવી ગેહરી આંખો કોઈને પણ અભિભૂત કરવા માટે પૂરતી હતી.
પછી સ્વામીજી સમુદ્રના કિનારે કિનારે ચાલવા લાગ્યા અને ખાસું બે ત્રણ કિલોમીટર દૂર સુધી ગયા પછી ઉભા રહ્યા અને એક નિશ્ચિત જગ્યાએ જઈને દંડ પછાડ્યો તો સામે સમુદ્રના પાણીની અંદર એક દરવાજો બની ગયો અને સ્વામીજી પાણીની અંદર ઉતરી દરવાજામાં પ્રવેશ કરી ગયા. બીજી બાજુ તેઓ સમુદ્રની અંદરથી નીકળી ગયા. સ્વામીજીને નિશ્ચિંતતાથી ખબર હતી કે આ ચોથા પરિમાણનો સમુદ્ર છે. આ સમુદ્ર કિનારો એકદમ નિર્જન હતો. આ બાજુ બહાર નીકળી અસીમાનંદે ઊંડા શ્વાસ લીધા અને કહ્યું કેટલા સમય પછી અહીં આવી રહ્યો છું, મારી સાથે અન્યાય કરનાર મહાશક્તિને હું નહિ છોડું.
પછી તે ચાલતા ચાલતા એક વસ્તી તરફ પહોંચ્યા ત્યાં પ્રવેશદ્વાર પર એક વ્યક્તિ ઉંધી લટકી રહી હતી દેખાવમાં એકદમ બિહામણી અને ગંદી જાણે વર્ષોથી નહાયો ન હોય. તે વ્યક્તિ કૂદકો મારીને નીચે ઉતરી અને અસીમાનંદની સામે ઉભી રહી અને પૂછ્યું તમારા જેવાનું અહીં સ્વાગત નથી અહીંથી પાછો ચાલ્યો જા. સ્વામીએ કહ્યું પાછો જવા માટે અહીં આવ્યો નથી અને મને કોણ અટકાવશે તું ? તે વ્યક્તિ ખિખિયાટા કરતી હસવા લાગી તને ખબર નથી હું કોણ છું ? હું અદ્વૈત છું અહીંનો પહેરેદાર છું તારા જેવા છપન્નને અત્યાર સુધી પેલા ઝાડ પર લટકાવી ચુક્યો છું. અસીમાનંદ લડવાનું ટાળી શક્યો હોત તેમના સરદાર જરખનું નામ લઈને પણ પહેલા અદ્વૈતનું અભિમાન ઉતારવાનું નક્કી કર્યું અને કહ્યું ભલે તારી લડવાની ઈચ્છા છે તો હું તને આવાહન આપું છું, તું મને હરાવી દઈશ તો હું પાછો ચાલ્યો જઈશ પણ જો હું તને હરાવીશ તો તારે મને ગુરુ માનવાના. તું હારી ગયો તો પાછો નહિ જઈ શકે. પછી કોઈ પણ જાતની વાર કર્યા વગર એક તલવાર જેવા હથિયારથી વાર કર્યો પણ સામે અસીમાનંદ હતો એક દિવ્ય પુરુષ, અસીમાનંદ પ્રહાર ચૂકવી ગયો અને વળતો પ્રહાર દંડથી કર્યો. અદ્વૈત જમીન પર પછડાયો પણ તરત ઉભો થયો અને કહ્યું તને કમજોર માનીને ધીમો પ્રહાર કર્યો પણ હવે નહિ છોડું. ફરી પાછો પેટારો બદલીને પ્રહાર કર્યો પણ અસીમાનંદે તેને દંડ પર રોકી લીધો અને તેને પાછળ ધકેલ્યો. પછી અસીમાનંદે એક મંત્ર બોલીને પોતાના દંડને ત્રિશુલમાં બદલી દીધો અને પછી એકજ પ્રહારમાં અદ્વૈતના હાથમાંથી હથિયાર પાડી નાખ્યું અને બીજા પ્રહારમાં તેને જમીન પર પડી દીધો અને ત્રિશુલ તેની ગરદન પર મૂકી દીધું અને કહ્યું, કરું તારો અંત ? અદ્વૈતએ બે હાથ જોડીને કહ્યું તમે તો ગુરુઓના પણ ગુરુ છો આજથી તમે મારા ગુરુ, તમારો દરેક આદેશ હું માનીશ.
મને જરખ પાસે લઇ જા. અદ્વૈતએ કહ્યું કોઈ પણ અજાણી વ્યક્તિ તેમને મળી ના શકે તમે તમારું નામ જણાવો. હું તેમને પૂછીને પછી જ તમને તેમની પાસે લઇ જઈશ. અસીમાનંદે કહ્યું ભલે તેની પાસે જા અને કહે અસીમાનંદ તેમને મળવા માંગે છે. અદ્વૈતે કહ્યું આપ થોડી વાર રાહ જુઓ હું તરત આવું છું. થોડી વાર પછી તે પાછો આવ્યો તેની સાથે સાત ફૂટ ઊંચો વ્યક્તિ હતો અને તે અસીમાનંદ પાસે આવ્યો અને તેમને પગે લાગ્યો અને કહ્યું તમને રાહ જોવી પડી તેના માટે માફી માંગુ છું. જો આ ગાંડા એ કોઈ બદતમીઝી કરી હોય તો તેના વતી હું માફી માંગુ છું. આપનું સ્વાગત છે અસીમનાથજી. અસીમાનંદે હાથ ઊંચો કરી કહ્યું હવે મને અસીમનાથ નથી અસીમાનંદ કહો મારો તે નામ સાથ કોઈ સંબંધ નથી. મને દેવતાની ગુફામાં લઇ ચાલો ત્યાં તેમનું આવ્હાન કરવાનું છે. જરખે કહ્યું એટલી ઉતાવળ શું છે પહેલા અમને મહેમાનગતિ તો કરવા દો. અસીમાનંદે કહ્યું મારી પાસે સમય નથી આ બધા માટે. જરખે કહ્યું ભલે આપણે ગુફામાં જઇયે. અદ્વૈત ત્યાં હાથ જોડીને ઉભો હતો અને કહ્યું ગુરુ મારા માટે બીજો કોઈ આદેશ ?
અસીમાનંદે કહ્યું જઈને નહાઈ લે તારા શરીરમાંથી દુર્ગંધ ઉઠે છે અને મારી સામે આવે તો ચોખ્ખો થઈને આવજે. કોઈ અણગમતું કામ કરવા કહ્યું હોય તેમ તેને માથું હલાવ્યું અને કહ્યું જેવો ગુરુજીનો આદેશ.
પછી જરખ અને અસીમાનંદ ગુફા તરફ જવા નીકળ્યા.