સંભવામિ યુગે યુગે ભાગ ૧૯
સંભવામિ યુગે યુગે ભાગ ૧૯


સોમ માતાપિતાની રજા લઈને અમદાવાદ આવવા નીકળ્યો. તેના મનના પ્રશ્નોનું સમાધાન થવાને બદલે બીજા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. તેના મનમાં અપરાધની ભાવના એ ઘર કરી લીધું હતું. તેના કાનમાં હજી પણ સુમાલી એ કહેલા શબ્દો ગુંજી રહ્યા હતા વૈશ્રવણ પૌલત્સ્ય, રક્ષરાજ રાવણ. રક્ષ સંસ્કૃતિનો જન્મદાતા. શું પોતે રાવણનો અવતાર છે ? પોતાના કાળી શક્તિના પ્રત્યેના આકર્ષણ વિષે પણ પ્રશ્ન હવે માથું ઉચકવા લાગ્યો હતો. શિવ પ્રત્યેનો અનુરાગ, સંગીતપ્રેમ, કાળી શક્તિઓનું આકર્ષણ, વાંચનભૂખ અને શક્તિની લાલસા તેને એવો નિર્દેશ આપતી હતી કે તે રાવણનો અવતાર હતો, પણ તેનું એક મન કહેતું હતું કે શક્ય છે કુંડળીની સામ્યતા ને લીધે તેમાં આ બધા ગુણો હોય અને કોઈ શક્તિ તેનું રક્ષણ કરી રહી છે, શું કોઈ દૈવી શક્તિ રક્ષણ કરી રહી છે કે કોઈ અઘોર શક્તિ તેનું રક્ષણ કરી રહી છે.
તે અમદાવાદ આવ્યા પછી પણ આ વિચારોમાં ગુમ હતો કે તેને પાયલ ને મળવાનું કે કોલેજ જવાનું ન સુઝયું, અંતે જયારે ભુરીયાએ તેને ટોક્યો ત્યારે તેને ભાન થયું કે આવ્યા પછી તે ૧૮ કલાક થી પથારીમાં પડ્યો છે તે ન જમ્યો હતો કે ન તો ઊંઘ્યો હતો. ભુરાનાં મનની શંકા મજબૂત થતી જતી હતી કે આ ડ્રગ્સને રવાડે ચડી ગયો હતો, તેણે કહ્યું ભાઈ સોમ આજે તો કોલેજ આવવું પડશે હજી વધારે રજા પાડીશ તો તને કોલેજમાંથી રેસ્ટિકેટ કરી નાખવામાં આવશે. કઈ નહિ તો એક બે લેક્ચરમાં હાજરી આપજે અને પછી લાયબ્રેરીમાં બેસજે, ત્યાંના પુસ્તકો પણ તારા વગર સૂના પડ્યા છે. લાયબ્રેરીનું નામ પડ્યા પછી સોમના મનમાં ઝબકારો થયો કે રાવણ વિશેનું સાહિત્ય કોલેજની લાયબ્રેરીમાં કે સીટી લાયબ્રેરીમાં મળી જશે. તેણે ભુરીયા ને કહ્યું તો ફક્ત ૧૦ મિનિટ રાહ જો હું તૈયાર થઇ જાઉં છું. ૧૦ મિનિટમાં તો સોમ તૈયાર થઈને કોલેજ જવા નીકળી ગયો.
બાબા કહી રહ્યા ચાલો એક રીતે સારું થયું, રામેશ્વર ઘણીવાર આદેશની અવહેલના કરવાથી પણ ફાયદો થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ તું છે. રામેશ્વરના ચેહરા પર આશ્ચર્યચિહ્ન હતું. સોમ ને મારવા આવેલા હત્યારાને પાછળથી ખંજર મારીને રામેશ્વર ત્યાંથી ઝડપથી નીકળી ગયો હતો અને પછી અંડરગ્રાઉન્ડ થઇ ગયો હતો. તેણે સોમને કાળી શક્તિની સાધના કરતા જોયો હતો પણ તે રાવણનો અવતાર છે એવું સુમાલીના મોઢે સાંભળીને તેને આઘાત લાગ્યો હતો અને તેને પોતાના પ્રત્યે નફરત થઇ ગઈ હતી કે પોતે એવી વ્યક્તિનું રક્ષણ કર્યું હતું જે રાવણનો અવતાર છે અને તે તેને પોતાના પુત્રની જેમ જોતો હતો. આખું જીવન મેં પ્રદ્યુમનસિંહનો આદેશ માનીને રાવણની રક્ષામાં વિતાવી દીધું, પ્રદ્યુમનસિંહ જે બાબાની વાત કરી તે કદાચ રાક્ષસવંશ અથવા અઘોરપંથી હશે. પાંચ દિવસ તે એક જગ્યાએ લપાયેલો રહ્યો પણ ન જાણે કેવી રીતે પ્રદ્યુમ્નસિંહે તેને પકડી લીધો અને અત્યારે જંગલમાં એક કુટિરમાં એક સાધુની સામે બેઠા હતા.
રામેશ્વર કહ્યું કે ભૂલ થઇ ગયી કે મેં આદેશની અવહેલના કરી અને સોમની રક્ષા કરી પણ હવે જો તમે આદેશ આપશો તો પણ તેની રક્ષા હું નહિ કરું. બાબા ધીમેથી હસ્યા અને કહ્યું હું જાણું છું તારા મનમાં શું ચાલી રહ્યું છે પણ તું એક વાત યાદ રાખજે કે માણસ જે જુએ છે અને સાંભળે છે એટલું જ સત્ય નથી હોતું. અમુક વાતો સામાન્ય વ્યક્તિની સમજથી ખુબ ઉપર હોય છે અને આમેય હવે સોમ ને કોઈના રક્ષણની જરૂર રહી નથી એટલે તું તારું કાર્ય પૂર્ણ થયું એમ સમજ. બાબાની વેધક આંખો અને પ્રભાવશાળી અવાજ ને લીધે રામેશ્વરનો ક્રોધ શાંત થઇ ગયો હતો. બાબાએ કહ્યું હું ન તો રાક્ષસવંશનો છું કે ન તો અઘોરપંથી અને તને શું લાગે છે કે પ્રદ્યુમનસિંહ એવા અઘોરીઓના ઈશારે કામ કરશે. તારી જાણકારી માટે કહી દઉં કે પ્રદ્યુમનસિંહ કુશના વંશજ છે અને તેના પૂર્વજો પણ મારે જો કોઈ કાર્ય કરવું હોય ત્યારે મારો આદેશ માથે ચડાવતા હતા. રામેશ્વર વિચારવા લાગ્યો કે કેટલી ઉમર હશે આ બાબાની ? બાબા એ કહ્યું મારી ઉમર વિષે ન વિચાર જયારે કઈ ન હતું ત્યારે પણ હું હતો અને જયારે કોઈ નહિ હોય ત્યારે પણ હું હોઈશ. તું ફક્ત મારો આદેશ માન અને પ્રદ્યુમનસિંહ જે આદેશ આપે તે મારો માનીને કામ કર આ જગકલ્યાણનું કામ છે અને તેમાં તારો ફાળો મોટો હશે.
રામેશ્વરે કહ્યું બાબા એક વાત મને કહો કે શું સોમ એ રાવણનો અવતાર છે? બાબા એ કહ્યું તમે બંને મારી નજીક આવો હું તમને પૂર્ણ વાત કરું એમ કહીને તેમને આખી વાત કહેવા લાગ્યા. આખી વાત સાંભળ્યા પછી રામેશ્વરના મનનો અપરાધીભાવ દૂર થયો. તેણે કહ્યું ઠીક છે બાબા આપ જેમ કહો તેમ કરીશ. બાબા એ કહ્યું તારું મુખ્ય કામ છે જટાશંકર ને શોધવાનું અને તેની નિશાનદેહી પ્રદ્યુમનસિંહને આપવાની. તે મળ્યા પછી આગળનો આદેશ હું આપીશ.