શ્રીમાન દલીચંદ શેઠ
શ્રીમાન દલીચંદ શેઠ
શ્રી દલીચંદ શેઠ એટલે જાજરમાન વ્યક્તિત્વ ઉમદાપણું, સખાવતી અને કર્તવ્યનિષ્ઠ, કર્મનિષ્ઠ માણસ, કરિયાણાની ચીજ વસ્તુનો હોલસેલ બિઝનેસ, આશરે સો માણસો કામ કરે, રોજ મોટા પ્રમાણમાં માલની આવક જાવક રહે, કોરોના કાળમાં અને લોક ડાઉન સમયે પણ માણસોને પૂરો પગાર અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ પુરી પાડનાર એવા, શ્રી દલીચંદશેઠના ગોડાઉનમાં ચોરી થઈ.
જગુ, શેઠનો ખાસ માણસ હતો, માલ સામાનની ખરીદી તેના હસ્તક રહેતી એટલે વરસમાં ત્રણ, ચાર મહિના બહાર રહેવું પડતું. શેઠે જગુને ખરીદી માટે જવા કહ્યું, જગુ, રઘુને હવાલો સોંપી નીકળી ગયો.
રઘુએ, માલનું મેળાપણું કર્યું તો, સો કિલો ઘઉંની બોરી, પચીસ કિલો તુવરદાળ, પચીસ કિલો ચોખાની બાચકી, પાંચ કિલો ખાંડ, ચા અને એક તેલના ડબ્બાની ઘટ આવી. રઘુ, વિચારમાં પડી ગયો કે જગુના વહીવટમાં ભૂલ ન હોય એણે ફરી, ફરી બધું ચેક કર્યું પણ મેળ ન પડયો. રઘુએ વિશ્વાસુ મિત્રોને વાત કરી. બધા જ ગડમથલમાં હતા કે શેઠશ્રીને જાણ કેવી રીતે કરવી, કારણ શેઠને પોતાના માણસો ઉપર એટલો વિશ્વાસ હતો કે ચોરીની વાત સાચી જ ન માને.
દલીચંદ શેઠને અણસારો તો આવી ગયો હતો, પણ શેઠે નક્કી કર્યું કે કોઈને પૂછવું નથી, કારણકે જે ચીજની ચોરી થઈ હતી એ જીવનજરૂરિયાતની હતી અને કોઈકને ખુબજ જરૂરિયાત ઊભી થઈ હશે એટલે વસ્તુ લીધી હશે, મારે પૂછીને તેને માનભંગ સ્થિતિમાં નથી મુકવા જે સત્ય હશે એ બહાર આવશે.
રઘુને, થયું શેઠશ્રીને વાત કરવી પડે. શેઠને વાત કરી કે જગુ પાસેથી હવાલો લઈ વસ્તુની ગણતરી કરતા આટલી વસ્તુઓની ઘટ આવે છે. મેં બધી જ રીતે તપાસી જોયું. સારું એમ કરો, એ વસ્તુઓ મારા ખાતે ઉધારી, તમારો હિસાબ મેળવી લો આપણે કોઈની પૂછપરછ કરવી નથી.
જગુ, ખરીદી કરી પાછો આવ્યો, કોઈએ કંઈ કહ્યું નહીં પણ તેને ખ્યાલ આવી ગયો, કે તેની ગેરહાજરીમાં કંઈક વાત બની છે. રઘુને પૂછતાં, રઘુએ બધી વાત કરી અને જગુને એકદમ વાત યાદ આવી ગઈ કે આ વસ્તુઓ તો મેં બેન આવી હતી, તેણે વાત કરી પછી તેના ઘરે મોકલાવી હતી અને પોતાના ખાતે ઉતાવળમાં ઉધારવી રહી ગઈ હતી. ભારે કરી, શેઠ પાસે હવે જવું કેમ, પણ શેઠશ્રીને જાણતો કરવી જ પડે.
જગુ, દલીચંશેઠના પગમાં બેસી ગયો, "મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરો." "અરે, પણ થયું છે શું?" "ના મને માફ કરો, તો વાત કરું", "સારું તારી સો ભૂલ માફ."
"શેઠશ્રી, મારી બેન આવી હતી, તેણે વાત કરી, બનેવીનો ધંધો કોરોનાને લીધે ભાંગી ગયો છે, ઘરમાં બે દિવસથી અનાજનો દાણો નથી, એટલે તારી પાસે આવી છું વીરા, અને મેં બેનના ઘરે ઘટ પડતી વસ્તુઓ મોકલી હતી પણ મારે ખાતે ઉધારવું ભૂલી ગયો હતો." "સારું તારી બેનને બોલાવ મારે મળવું છે." "શેઠશ્રી આમાં મારી બેનનો કઈ વાંક નથી, હું મારી ભૂલની માફી માંગુ છું." "તું બોલાવ મારે મળવું છે."
"બોલ દીકરી, તારું નામ શું છે ?"
"મારુ નામ ઉજી છે, પણ શેઠશ્રી મારો વીરો સાવ નિર્દોષ છે."
"તારો વીરો નહીં, હું દોષિત છું. આ વાત મારી ધ્યાન બહાર કેમ રહી ગઈ કે મારા માણસો સિવાયના બીજા પણ કુટુંબો છે, જેને કોરોનાએ થપાટ મારી છે, તારા વીરાએ તો માનથી મારુ મસ્તક ઊંચું થાય એવું કામ કર્યું છે, એને ચોરી નહીં પણ મારા વતી સખાવત કરી છે, કાલથી તારા ધણીને અહીં કામ ઉપર મોકલી દેજે."
"જગુ, આ દીકરીને ત્યાં છ મહિનાનું રેશન મોકલી દે, અને તને જવાબદારી સોપુ છું કે, આવા જરૂરિયાતવાળા બધા જ કુટુંબને ત્યાં જરૂરી રેશન મોકલી દેજે, આ તારી કહેવાતી ચોરીની સજા છે."
આવા દલીચંદશેઠની ઉદારી સામે બધા જ કામ કરતા માણસોનું મસ્તક શેઠના ચરણોમાં માન, સન્માનથી ઝૂકી ગયું.