રાક્ષસ
રાક્ષસ
લખનને દાદીમા ને પૂછ્યું, "દાદીમા રાક્ષસ એટલે શું ?" લખન અને દાદી રામાયણ જોઈ રહ્યાં હતા. તેમાં તેણે રાક્ષસરાજ શબ્દ સાંભળ્યો એટલે કુતૂહલ વસ દાદીમાને શબ્દનો અર્થ પૂછ્યો. દાદીએ લખન સામે જોયુ અને દ્વિધામાં પડી ગયા કે લખનને તેણે પૂછેલ શબ્દનો અર્થ કેવી રીતે સમજાવવો. લખન પાંચ વરસની ઉંમરના હતો. તેણે પુછેલ પ્રશ્ન બાળ સુલભ હતો પણ દાદી માટે લખનને સંતોષ થાય એ રીતે સમજાવવું અઘરું હતું. છતાં દાદીએ લખનની જિજ્ઞાસા સંતોષવા કહ્યું.
"બેટા, રાક્ષસ એટલે બીજાને હેરાન કરે, અપ શબ્દો બોલે, ક્યારેક ક્યારેક બહુ માર મારી લે અને બીજાનું માન સન્માન ન કરે, મોટાનું અપમાન કરે એ રાક્ષસ કહેવાય. દાદામાં ને સમજાતું નહોતું કે લખન ને રાક્ષસ એટલે શું એ કેમ સમજાવવું. લખને તો બાળ સુલભ પ્રશ્ન પૂછ્યો હતો."
"તો, દાદીમા મારા પપ્પા રાક્ષસ છે ? એ પણ તમારું અને દાદાજીનું માન નથી રાખતા જેમ તેમ બોલે છે. મમ્મીને પણ ઘણીવાર મે મારતા જોયા છે. અપ શબ્દો અને અપમાન કરતાં જોયા છે. હે, દાદીમા મારા પપ્પા રાક્ષસ ગણાય ને ?"
"ના, બેટા એવું નથી. તું આ વાત સમજવા માટે બહુ નાનો છો. મોટા થઈશ ને એટલે તને સમજાય જશે. અત્યારે તારે પપ્પા વિશે આવું કાઈ બોલવાનું કે કહેવાનું નહીં."
"ના, દાદી તમે ખોટું બોલો છો. હું તમારી સાથે વાત નહી કરું" એમ કહીને લખન બહાર રમવા જતો રહ્યો. દાદી ક્યાંય સુધી લખનની વાત પર વિચાર કરતા બેઠા. એક રીતે લખનની વાત સાચી હતી કે તેના પપ્પાનું વર્તન એવું જ હતું કે લખન પર આવી છાપ પડે.
તેને ઘણીવાર સમજાવ્યો હતો કે દીકરા બાળકોને સારા, ખરાબ સંસ્કાર ઘરમાંથી જ મળે છે. જેવું ઘરનું વાતાવરણ હોય એવું તેનું ઘડતર થાય છે. બાળકો પોતાના માતા, પિતાને રોલ મોડેલ માનીને અનુસરતા હોય છે. પણ તેણે આ વાત ક્યારેય ધ્યાન પર ન લીધી અને આજે લખને પ્રશ્ન કરીને જવાબ માંગીને પરિસ્થિતિ સમજાવી દીધી.
રૂડીબેને કરશનભાઈને કહ્યું, "કહું છું, સાંભળો છો ?"
"હા, બોલ. તારે શું કહેવું છે ? એ મને ખબર છે. તમે આવા છો અને તેવા છો. તમારું વર્તન સુધારો વગેરે વગેરે. તારી આવી વાતો તારી પાસેથી સાંભળી સાંભળીને કંટાળી ગયો છું. હું જેવો છું એવો જ રહેવાનો છું બોલ તારે હવે કંઈ કહેવું છે ?"
"બસ, આજ તમારી તકલીફ છે. પણ મારે આજે જે વાત કહેવી છે એ ધ્યાનથી સાંભળજો અને પછી તમે તમને યોગ્ય લાગે તેમ કરજો. આમેય તમે તમારું ધાર્યું જ કરો છો. આજે લખને બાને રાક્ષસ
વિશે પૂછ્યું, બા એ રાક્ષસ કોને કહેવાય એ સમજાવ્યું એટલે લખને ફટ દઈને કહી દીધું કે તો પછી મારા પપ્પા પણ રાક્ષસ છે. બા એ બહુ સમજાવ્યો પણ એ તમને રાક્ષસમાં ગણે છે. લખને તો બાળ સુલભ જિજ્ઞાસાથી આ પ્રશ્ન પૂછ્યો હતો પણ તમને શું લાગે છે ? લખન તમને રાક્ષસ કેમ માને છે એ વિશે તમે ક્યારેય વિચાર્યું છે."
"મે આ પહેલા પણ તમને કહ્યું હતું કે બાળકોનો ઉછેર એ નાની માં નાં ખેલ નથી. ઘરનું વાતાવરણ જો બાળકોને સારા સંસ્કારી બનાવવા હોય તો તે પ્રમાણેનું હોવું જોઈએ. બાળકો જે કંઈ શીખે છે એ ઘરનાં વાતાવરણ અને કૌટુંબિક સંબંધોમાંથી શીખે છે. હું તમારી જેટલી જ્ઞાની કે ભણેલી નથી. પણ લખનનાં પ્રશ્ન અને તમારી વિશેની માન્યતા પર વિચાર કરજો. જો એ બાળક તરીકે આવું વિચારતો હોય તો આગળ જતાં શું પરિસ્થિતિ થાય એ વિશે પણ વિચારજો. મેં, મને જે લાગ્યું એ તમને કહ્યું. હવે તમારે કેવી છાપથી જીવવું છે એ તમે નક્કી કરજો."
આજે પહેલી વખત કરશનભાઈને રૂડીબેનની વાતે વિચાર કરતા કરી દીધા. લખનની ધારણામાં કોઈ અતિશયોક્તિ નહોતી. પોતાનું વર્તન બા, બાપા, રૂડી અને લખન પ્રત્યે આવુજ હતું જે લખને જોયું અને રાક્ષસની કક્ષામાં તેની ગણના કરી નાખી.
કરશનભાઈ લખને કરેલા પ્રશ્ન વિશેની રૂડીબેને કરેલી વાતથી મનથી હચમચી ગયા હતા. ખૂબ વિચાર્યા પછી એક નિર્ણય કર્યો કે લખનનો નહીં આ આખાય સમાજને અને ભવિષ્યને સ્પર્શ તો પ્રશ્ન છે.
બીજે દિવસે કરશનભાઈએ તેના બાપાને કહ્યું, "બાપા તમે ઘણા સમયથી આપણી વાડીએ નથી આવ્યા. હું જાત જાતના પાક વાવું છું પણ ધાર્યું પરિણામ મળતું નથી. તમે વાડીએ આવીને મને માર્ગદર્શન આપો તો હું સારો પાક લઈ શકું."
કરશનભાઈના બાપાએ આશ્ચર્ય સાથે કરશનભાઈ સામે જોયું. કરશનભાઈના બાપા ઘણા સમયથી વાડીએ જતા નહોતો. એક વખત કોઈક બાબતમાં તેમણે કરશનભાઈ ને કઈક માર્ગદર્શન આપ્યું ત્યારે કરશનભાઈ એ વાતને અવગણી અપમાન જનક શબ્દો કહ્યા હતા ત્યાર તેમણે વાડીએ જવાનું કે કઈ સલાહ, સૂચન આપવાનું બંધ કરી દીધું હતું. એટલે આજે કરશનભાઈની વાતથી નવાઈ લાગે એ સ્વાભાવિક હતું.
"હા, હું તો તું કહે ત્યારે આવીશ. મારે ઘરે શું કામ છે. વાડીએ આવીશ તો જૂના મિત્રો મળશે અને સ્મરણો તાજા થશે. ઘણા સમયથી ખુલ્લી હવાની મજા માણી નથી એ માણવા મળશે."
આ બનાવ પછી કરશનભાઈ ઘીમે ઘીમે તેના વાણી વર્તનમાં ફેરફાર કરતા ગયા. ઘરનો માહોલ પણ બદલતો ગયો. કરશનભાઈ એ જોયું કે કરેલા બદલાવથી મનની શાંતિ વધી હતી. ઉદ્વેગ અને ઉચાટ ઘટી ગયા હતા. વાડીએથી આવીને લખન સાથે પણ સમય પસાર કરતા. લખન તો દાદી સાથે થયેલી વાતને ભૂલી ગયો હતો. પણ દાદી એ વાતને નહોતા ભૂલ્યા.
એક દિવસ તેણે રૂડીબેનને પૂછ્યું, "રૂડી આ કરશનમાં બદલાવ આવવાનું કારણ શું છે ? મારો કરશન આખે આખો બદલાઈ ગયો છે જાણે પહેલાનો કરશન જ નથી રહ્યો. આ અઘરો દાખલો સહેલાયથી ઉકેલાય નહીં, તો આમ કેમ બન્યું ?"
"બા, તમને લખને પૂછેલ સવાલ અને વાતચીત મે એની સાથે કરી હતી અને કહ્યું હતું કે લખનનાં મનમાં તમારી રાક્ષસ તરીકેની છાપ ઊભી થઈ છે. લખન બાળક છે એ તો સમય પસાર થતા વાતને ભૂલી જશે પણ ફરીથી એ છાપ ઊભી ન થાય એ માટે તમારી અને આપણી પાસે સમય છે. તમે વિચારી જો જો કે તમારે શું બનવું છે ?"
"વાહ, બેટા મારી લખન સાથે થયેલી વાતને કરશનને કરવા માટેની હિંમતને હું દાદ આપુ છું. મારી તો હિંમત ન ચાલત. સારું થયું બેટા અંતે ધી નાં ઠામમાં ઘી પડ્યું. સંસ્કાર હંમેશા ઉજળા જ હોય છે. સવાલ છે બસ સમયે સમયે તેની પર લાગતા કાટ ને સાફ કરતા રહેવાનો."
કરશનભાઈ એ ઘરમાં દાખલ થતાં જોયું તો દરેકના ચહેરા પર ખુશીની લહેર હતી. લખનને બાને આવો પ્રશ્ન પૂછવા માટે અને રૂડીએ હિંમત કરી તેને વાત કરવામાં માટે મનમાં ખુશી સાથે આભારની લાગણી ઉભરાઈ આવી. ઘરમાં ખુશીના માહોલ સિવાય માણસને, ઘરની વ્યક્તિઓને બીજુ શું જોઈએ. આ સનાતન સત્ય જો સમજાય જાય તો મોટા ભાગની સાંપ્રત સમસ્યાનો ઉકેલ આવી જાય.