પ્રસાદની કૂપન
પ્રસાદની કૂપન
એક પ્રતિષ્ઠિત મંદિર બહાર પ્રસાદના ભાવો લખેલાં. 25, 50, 100, 200 , 500, 1000ની કુપનો અહીં મળશે. પુષ્પાબેને પતિ ભાનુભાઈને કહ્યું "આપણે 500ની કુપન લઈશું "
ભાનુભાઈએ વિચાર કરી કહ્યું "આપણે પ્રસાદ લેવો નથી. દાન પણ લખાવવું નથી.1500 રૂપિયામાં હું બહાર પુરી શાક વાળાને કહી દઉ છું એ પચાસ પ્લેટ બનાવી મંદિર બહાર બેઠેલાં ભિક્ષુકોને ખવડાવી દે. મંદિરમાં દર્શન માટે આવનાર થોડી તો ભેંટ દાનપેટીમાં મૂકતાં હોય. મંદિરમાં એક સાકરનો પ્રસાદ ફ્રીમાં આપવાનો આટલા મોટા ટ્રસ્ટને વિવેક નથી. સદાવ્રત જેવું તો દુર જ કહેવાય. પ્રસાદ ઘરમાં એક જણાંએ હમણાં જ દસ હજાર રૂપિયા લખાવ્યાં. મોહનથાળના મોટા દસ પેકેટ એને આપ્યાં. એના પછી એક પચાસની કુપનવાળાને સાવ નાનું પેકેટ મળ્યું. નીચું માથું કરી એણે લીધું. આપનાર તરત જ એને બોલ્યો ' ચલો આગળ જાવ '..મારાથી કે મંદિરમાં રહેલાં ભગવાનથી આ સહન થતું નથી. ફરી આવા મોટા મંદિરોમાં તારે એકલું આવવાનું. મારે તો આપણાં ઘરના મંદિરમાં જ આનંદ આવે છે એટલે મને જોડે નહિ લાવવાનો. મને અણગમો પેદા થાય, મારી આસ્થા ભગવાન માટે ઓછી થતી જાય એવા કોઈ દર્શન મારે કરવા નથી.