પરિવર્તન
પરિવર્તન
“એય રંગીલા આમ આવ એ છોડને પાની પાવ”, “ એ રંગા બે પડીકી લઈ આવ “ આમ જાત જાતના રોજ કામ કરતો રંગીલો મૂળ નામ એનું રંગાપ્રસાદ પણ લોકો એને જુદા જુદા નામથી બોલાવે કોઈ રંગીલો કહે, કોઈ રંગા, રંગ્યો વગેરે. કોઈ તને જુદા જુદા નામથી બોલાવે છે. તો તને ચીડ નથી ચઢતી ? “તો એ કહે,” “નામમાં શું રાખ્યું છે ? ગુલાબને કોઈ મોગરો કહેશે તો એ કઈ સુગંધ છોડી દેશે.”
બચપન એનું ઘણું ખરાબ વીતેલું. નાનપણમાં જ મા ગુજરી ગઈ. ચાર પાંચ વર્ષનો થયો ત્યારે બાપુજીએ પણ સ્વર્ગનો રસ્તો પકડી લીધો. બિચારો રંગ્યો ગરીબ દાદા-દાદી પાસે રહેતો અને નાનું મોટું કામ કરતો. શાળા તો એને દૂરથી પણ જોઈ નહોતી, છતાં હોશિયાર. “વડ જેવા ટેટાં અને બાપ જેવા બેટા” એ હિસાબે આપણો રંગ્યો પણ પહેલવાન. કસરત કુશ્તીના બધા દાવ દાદાએ શીખવાડેલાં. ગરીબ દાદા-દાદી એના સિવાય કોઈ નહી. તેથી બસ એને જ ખવડાવવા પીવડાવવામાં ધ્યાન. ફલસ્વરૂપ શરીર સારું કસાયેલું, ગોરો વાન તો હતો જ, તેથી તેનું રૂપ ઓર દીપી ઉઠતું બધાં કહેતાં રંગ્યો લાગે છે બાપું હીરો. જ્યારે એ ભરજુવાનીમાં આવ્યો ત્યાર સુધીમાં તો સાવ એકલો થઈ ગયો હતો. છતાં તેના સ્વભાવથી ગામ આખું તેનું હતું. રંગીલાને કામ કહેવાની કોઈને શરમ નહીં અને રંગીલાને કોઈનું કામ કરવાની ! કામ ધંધો કઈ કરે નહીં પણ લોકો તેને ભૂખે ન રાખે. કોઈના પણ ઘેર જઈ જમી આવે અને કોઈનું પણ કામ બોલ પડે કરે. એવો એ રંગલો. મજાકિયો પણ,
એવો જ હસે અને લોકોને હસાવે. તેથી લોકો તેને ઓર પ્રેમ કરે. રડતાંને પણ હસાવે એવો આપણો રંગલો અને અચાનક બે-એક દિવસ એ ગામમાં દેખાયો નહીં બધા વિચારમાં પડી ગયાં રંગિલો ગયો ક્યાં ? કોઈને તેના સિવાય ચેન પડતુ નહી. અને એટલામાં સમાચાર આવ્યા “રંગલો પરણી ગયો” “પરણી ગયો પણ કોની સાથે ?” “શેઠ જમાનાદાસની એકની એક દીકરી શિવાની સાથે” બધા બોલ્યા સાલું ખરૂ કહેવાય ? નસીબ ચમકયું આપણા રંગીલાનું. કોઈ બોલ્યું હતો જ હીરો જેવો તે ભાળી ગઈ શેઠની છોકરી અરે નસીબ તો એનું કહેવાય જે આપણો રંગિલો તેને મળ્યો. ગરીબ હતો તો શું થયું દિલનો અમિર હતો. આપણો રંગલો લાખ રૂપિયાનો સ્વભાવ હતો. શેઠને તો એક સારો જમાઈ મળી ગયો. ત્યારથી આજ સુધી તે ગામમાં દેખાયો નહી. ધીમે ધીમે લોકો તેને ભૂલી ગયાં.
આ વાત અચાનક કેમ યાદ આવી ગઈ ? કારણ આજે હું અને કરસનકાકા મંદિરે જતાં હતા ત્યાં રસ્તામાં એક શેઠ કાર સાથે ઊભા હતાં. કાળો કોટ. માથે હેટ એકદમ ઈગલીશમેન પીઠ અમારી તરફ હતી. નજીક પહોચતાં કરસનકાકા તેને ઓળખી ગયાં અને મોઢામાંથી બૂમ નીકળી ગઈ “ રંગલા તું અહિયાં, કેટલા દાડા પછી દેખાયો. ક્યાં હતો તું ? અમે તો તને ભૂલી ગયાં હતાં.” તેણે સહેજ ડોક ફેરવીને અમારી તરફ જોયું જાણે અમને ઓળખતો જ નહોય. એમ અમારી તરફ જોઈ રહયો. કરસનકાકા આભા બની જોવા લાગયા પણ હિંમત કરી ફરી બોલ્યા “રંગીલા ઓળખે છે ને કે ભૂલી ગયો” તે સહેજ ફિક્કું હસ્યો અને બોલ્યો “શેઠ રંગાપ્રસાદ કહો” આમ બોલી ગાડીનો દરવાજો ખોલી ગાડીમાં બેસી નીકળી ગયો. કરસનકાકાએ મારી તરફ જોયું અને બોલ્યાં “જોયું પરીવર્તન” આપણો રંગીલો બદલાઈ ગયો. મેં કહ્યું “ના રંગલો તો તે જ છે. પણ તેની પરિસ્થિતી બદલાઈ ગઈ” અમને એટલો આઘાત લાગ્યો કે અમે મંદિરે ન જતાં ઘેર પાછા ફર્યા આખી રાત તેનો તેજ વિચાર કેવું પરિવર્તન ? “માણસ પાસે ફકત પેસો આવતાંજ તે કેટલો બદલાય જાય છે. એક સમયે મારી પાસે માંગનાર માંગીને ખાનાર રંગલો આજે મારી તરફ એમ જોતો હતો જાણે કે હું માંગનાર છું. હમેશાં હસી–મજાક કરનાર બધાને હસાવનાર રંગલો આજે અમને રડાવી ગયો. નામમાં શું છે એમ કહેનાર રંગલો આજે અમને કહે છે રંગો નહી રંગાપ્રસાદ ! કેટલો અહંકાર આવી ગયો છે ! તેનામાં અને તે પોતે શું છે ? બધો તાલ તો બાયડીના પૈસે છે !
હું મનમાં ને મનમાં એણે ગાળો ભાંળતો એના વિશે વિચારતો ક્યારે ઉંઘી ગયો ખબર જ ન પડી. તે અચાનક સવારે બાળકોનો અવાજ સાંભળી હું ઊઠ્યો, બહાર જોયું તો એક ગાડી પાછળ છોકરા દોડતા હતાં એ ગાડી સીધી મારા બારણાં પાસે આવી ઊભી રહી દરવાજો ખૂલ્યો અંદરથી રંગલો બહાર આવ્યો. આવતાની સાથે જ બોલ્યો “ શું યાર તમે પણ ગાડી પાર્ક કરી તમને મળવાં આવ્યો તો તમે ત્યાં નહોતા કરસનકાકા પણ નહી. મંદિરની અંદર ગયો ત્યાં પણ તમે નહી ક્યાં ક્યાં નહીં શોધ્યા તમને મંદિરની બહાર વાટ જોઈ તે લાગ્યું કદાચ તમે ગર્દીમાં દેખાયા નહીં હોય બહાર દેખાશો પણ ત્યાં પણ નહીં આટલા વર્ષે મળ્યાતા તે રોકાવાનું નહીં ? મેં કહ્યું “પણ શેઠ રંગાપ્રસાદ અમે તો......” તેણે વચ્ચેજ કહ્યું શું યાર તમે પણ મારી જ મજાક મારી સાથે જ કરો છો. આ ભાભી માટે સાડી લાવ્યો છું. પોયરાઓ માટે મીઠાઈ લાવ્યો છું કઈ કામ હોય તો કહો.. તે સતત બોલતો હતો તેજ પ્રમાણે જે પ્રમાણે પહેલા બોલતો હતો તેણે તે મજાક કરેલી તેજ પ્રમાણે જેમ પહેલા કરતો હતો તો અમે કેમ સમજી ન શકયા ? મારા માથામાં સતત ધાણા પડતા હોય તેવું લાગતું હતું તેનો એક એક શબ્દ હૈયામાં ઘા કરતો હતો શૂન્ય મસ્તકે હું વિચારવા લાગ્યો. પરિસ્થિતી બદલાઈ જતાં રંગલો બદલાય ગયો ? ના તેની પરિસ્થિતી બદલાઈ જતાં તેના પ્રત્યેના અમારા વિચરોમાં પરિવર્તન આવી ગયું. ઈર્ષાથી ક્ષોભથી કે પછી તેના ઠાઠમાઠથી પણ ચોક્કસ પણ એ કોઈ એક બાજુ તો થયું જ છે પરિવર્તન !