પરિવાર
પરિવાર
છાયા બહેન ને કિરીટભાઈ પતિપત્ની હતાં, પણ લગ્ન કર્યા ને પિસ્તાલીસ વર્ષ થયાં હતાં પણ છાયાબેન એકલતાનો જ અનુભવ કરતાં હતાં. સંતાનો બે હતાં. મોટો દીકરો ગવર્મેન્ટ કલાસ વન ઓફિસર હતો ને બદલી થતી હોવાથી એ બીજા શહેરમાં એનાં પરિવાર સાથે રહેતો હતો. ફોન થકી ખબર અંતર પૂછી લેતાં હતાં. વાર તહેવારે કે પ્રસંગે ઉપસ્થિત રહેતાં હતાં.
છાયાબેન શિક્ષક હતાં ને છોકરાઓને નોકરી ને ઘર પરિવાર સંભાળતા સંભાળતા ભણાવી ગણાવીને પરણાવ્યા હતાં, છાયાબેન પણ નોકરીમાંથી નિવૃત્ત થયા હતાં એમને એમ કે હવે સુખ શાંતિ મળશે ને એય તે મારાં પરિવાર સાથે બેસીને આનંદ કરીશ ને સુખ શાંતિથી હવે હરીશું ફરીશું ને જીવીશું. પણ મોટા દીકરા સમીર ને બદલી થઈ એટલે નાનાં દીકરો અમિત ને વહું રીના જોડે રહીને જૂની યાદો સાથે પરિવાર સાથે બેસીને આનંદ કરીશ પણ હાય રે કિસ્મત.
ઘરમાં જ્યારે જ્યારે કંઈ નાની મોટી ચર્ચા થાય ત્યારે છાયાબેન કંઈ કહે તો રીના એમની જોડે દલીલો કરે ને નાની અમથી વાતમાં અર્થનો અનર્થ કરીને ઝઘડો કરે ને અમિતને ખરું ખોટું સમજાવે એટલે અમિત છાયાબેનને જ બોલે ને અપમાનિત કરે. છાયાબેન આશાભરી નજરે કિરીટભાઈ સામે જોવે પણ કિરીટભાઈ તો પોતાની મસ્તીમાં જ મસ્ત રહે. આવું રોજબરોજ બનવા લાગ્યું એટલે છાયાબેન ને બહું દુઃખ થયું ને એમને એકાએક હૃદયનો હુમલો થયો ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. આઈ સી આઈમાં સારવાર અર્થે રાખવામાં આવ્યાં. ત્યાં પથારીમાં પડ્યા પડ્યા એમને વિચાર આવ્યો કે મેં આખી જિંદગી પરિવાર માટે ખર્ચી નાખી, ન મોજશોખ પૂરા કર્યા કે ન હરવા ફરવા ગઈ.
એક જ સ્વપ્ન હતું કે મારો પરિવાર સુખી થાય, તો મારી ભૂલ ક્યાં થઈ ગઈ કે આજે આવાં દિવસો જોવાના વારો આવ્યો. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી ને મનોમન કાળિયા ઠાકોરજીને કહ્યું કે જલ્દી તારી પાસે બોલાવી લે.. મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો પ્રભુ પણ મારાં પરિવારની સદાય રક્ષા કરજો, આમ કહીને છાયાબેન આંખો બંધ કરીને મનોમંથન કરી રહ્યાં.