પરીક્ષાનો ડર ? છૂમંતર 08
પરીક્ષાનો ડર ? છૂમંતર 08
પણ મન એમ પાછો પડે તેમ ન હતો. તેણે તો પોતાની વાત કરવી જ હતી. તે કહે, ''દોસ્તો ! આજે માંડ જાદુ યાદ આવ્યો છે. એટલે પછી ભુલાય પણ જાય. હવે થોડીવાર રહોને ! થોડીવારમાં જ જાદુના મુદ્દા ઉપર આવી જઈશ. આ વાત જાદુ માટે જરૂરી છે. એટલે પહેલા એ વાત કહું છું. બાકી તમારી મરજી ! તમારે જવું હોય તો જઈ શકો છો !''
થોડીવાર મન ચૂપ રહ્યો. કોઈ કંઈ બોલ્યું નહિ, કે કોઈ ત્યાંથી ગયું નહિ. એટલે મન હવે વાતને આગળ વધારે છે, ''અંગ્રેજીનાં ત્રણ વાકયો તો કહેવાનાં રહી ગયાં ! (૧) I Listen, I forget. (મેં સાંભળ્યું, તો હું ભૂલી ગયો.), (ર) I read, I understand. (મેં વાંચ્યું, તો હું સમજ્યો.), (૩) I write, I remember. (મેં લખ્યું, તો હું યાદ રાખી શકયો.) આ ત્રણ વાકયો ઉપરથી સમજવાનું એ છે કે, જો આપણે લખીને શીખશું, તો એ વધારે યાદ રહેશે. જે મહાવરો કરવો હોય, તે લખીને કરીએ તો ? આપણે ગોખીએ શા માટે ? ગોખેલું તો ગમે ત્યારે ભુલાય જાય. એટલે વાંચીને, સમજીને, લખીને યાદ રાખીએ, તો તે ભુલાશે નહિ.''
જય : ''મન, મારા ભાઈ ! હવે તો બરાબર થાકયા હો ! તું મૂળ મુદ્દા ઉપર કેમ નથી આવતો ? હવે તો ભૂખ પણ લાગી છે અને અહીં કાંઈ ખાવાનું પણ મળે તેમ નથી !''
પલ : ''હા, ગુરુમહારાજે પોતાની પવિત્ર વાણીમાં મુદ્દા લખવાની વાત કરી હતી. પણ અહીં તો પોતે જ મુદ્દા ઉપરથી ભટકી ગયા છે.''
યશ : ''મન, શું તારે અમને થકવવા છે ? થાકયા પછી જાદુ જોવાનો મુડ પણ નહિ રહે. તારે જાદુ ન દેખાડવો હોય તો ના પાડી દે ! આમ શા માટે ટટળાવે છે. અમે વળી તારી વાતમાં આવી ગયા, અને લાલચને લીધે રમવાનું પણ ન થયું.''
રવ : 'મન, હવે તારી વાત કેટલો સમય ચાલશે ? તે અમને કહી દે ! થોડીવાર થોડીવાર કરીને બે કલાક તો થઈ ગયા. ન દેખાડયો જાદુ, કે ન પૂરી થઈ તારી વાત !''
(ક્રમશ:)