પપ્પુનો પુષ્પપ્રેમ
પપ્પુનો પુષ્પપ્રેમ
નવા મકાનમાં રહેવા આવ્યા પછી પપ્પુ અને રીંકું ખૂબ જ ખુશ હતાં. વાતવરણ અને જગ્યા ખૂબ સારી હોવાથી ત્યાં બધાં લોકોએ નાના મોટા છોડવા રોપ્યા હતાં. રીંકું અને પપ્પુ બંને એ પણ નજીકની નર્સરીમાં જઈને મનપસંદ છોડવાઓ લઈ આવ્યા અને ઘરની આજુબાજુની ખુલ્લી જગ્યામાં રોપા રોપી દીધાં. પપ્પુને પુષ્પો બહુ ગમે તો તેણે ગુલાબ, મોગરો, બારમાસી અને કરેણ લીધાં હતાં. એ સિવાય તુલસી, અરડુસી અને કુંવારપાઠું તો ખરાં જ.
રીંકું તો દરરોજ સવારે ઊઠીને છોડવા જોવા આવે. છોડવાં પણ ધીરે ધીરે સરસ મજાનાં તૈયાર થઈ ગયાં. પપ્પુ ખૂબ જ કાળજી રાખી છોડવાનું જતન કરતો હતો.
એક દિવસ પપ્પુને ખૂબ જ હોમવર્ક હતું. રવિવારનો દિવસ હતો. પપ્પુને એમ કે આજે સાંજ સુધીમાં છોડવાઓને પાણી આપીશ. રીંકુંએ જોયુ કે આજે ભાઈ અભ્યાસમાં વ્યસ્ત છે. તો લાવને હું આજે છોડવાઓને પાણી આપું ! આવુ વિચારી રીંકુ એક પ્યાલામાં પાણી લઈને છોડવાઓને પીવડાવવા ગયો. પ્યાલામાં પાણી ભર્યું અને કોઈ માણસને પાણી પીવડાવતો હોય તેમ છોડવાઓનાં પાંદડાઓને પાણી પીવડાવવા લાગ્યો.
એમ કરતાં બપોરનો સમય થઈ ગયો. મમ્મીએ જમવા માટે બૂમ પાડી. પપ્પુ ઊભો થયો. રીંકુને શોધવા લાગ્યો. જોયું તો પાછળ વાડામાં રીંકું છોડવાઓને પાણી આપતો હતો. પપ્પુએ જોયું કે, રીંકુ પાંદડાઓને પાણી આપતો હતો. પપ્પુએ રીંકુને કહયું, ' આમ કેમ પાણી આપે છે ? ' રીંકુએ જવાબ આપતા કહ્યું, ' ભાઈ પાણી આ રીતે પીવડાવીએ તો છોડ જલ્દી મોટાં થશે અને ઘણાં ફૂલ આવશે.' પપ્પુએ કહ્યું, ' ના ભઈલા, એવું ન હોય. છોડવાઓને આપણે નીચે ક્યારા કર્યા છે ત્યાં જ મૂળમાં પાણી આપવું જોઈએ. જે રીતે આપણે મોં વટે ખોરાક લઈએ છીએ તે જ રીતે વૃક્ષોનું મુખ એટલે મૂળ.' એ પૂછયું, ' એમ કેવી રીતે બને ? ' પપ્પુએ સમજાવતાં કહ્યું, 'કેશાકર્ષણના નિયમ મુજબ. તું મોટો થઈશ એટલે તારે ભણવામાં આવશે. કેશાકર્ષણના નિયમમાં નીચેથી પાણી ઉપર સુઘી ચઢે છે. માટે આપણે મૂળમાં જ ખાતર અને પાણી આપવા જોઈએ.' રીંકુને તો આ વિજ્ઞાનની વાતો સાંભળવાની ખૂબ મજા પડી. પપ્પુ કહ્યું હું તને જમ્યા પછી એક પ્રયોગ બતાવીશ જેથી તને કેશાકર્ષણનો નિયમ સમજાઈ જશે.
જમ્યાબાદ પપ્પુએ કાચના બે પ્યાલા લીધાં. એક પ્યાલામાં પાણી ભર્યું અને પાણીને રંગીન બનાવવા તેમાં થોડો ગુલાબી કલર નાખ્યો. પાણીનો રંગ ગુલાબી થઈ ગયો. હવે પપ્પુએ એક રૂની પૂણી લીધી અને તેની લાંબી પાતળી દિવેટ બનાવી. રીંકુઆ બધું જ કુતૂહલવશ જોઈ રહ્યો હતો. પપ્પુએ રૂની પાતળી દિવેટનો એક છેડો ગુલાબી રંગીન પાણીમાં નાખ્યો અને બીજો છેડો ખાલી પ્યાલામાં નાખી અને રંગીન પાણી વાળો પ્યાલો સહેજ ત્રાંસો કર્યો. ધીરે ધીરે જોયું તો રૂની પૂણી ગુલાબી રંગના પાણી વાળી થઈ ગઈ હતી અને પાણી ધીરે ધીરે બીજા પ્યાલામાં ભરાતું હતું. રીંકુ તો આભો જ બની ગયો ! ધીરે ધીરે બઘું જ રંગીન પાણી બીજા પ્યાલામાં જતું રહ્યું. પપ્પુએ સમજાવતાં કહ્યું કે, ' આપણે ઘીનો દીવો કરીએ છીએ તે પણ આ જ રીતે ઘી કે તેલ ઉપર સુઘી આવે છે અને દીવો પ્રગટે છે. આમ, આને કેશાકર્ષણનો નિયમ કહેવાય છે. જેને લીધે જ વૃક્ષોમાં પાણી ઉપર સુઘી ચઢે છે. '
હવે રીંકુ બરાબર સમજ્યો. ને બંને ભાઈઓ લેસન કરવાં બેઠાં.