જશોદાનો જાયો
જશોદાનો જાયો
કૃષ્ણનું આકર્ષણલગાવ મને હું ખૂબ નાનો હતો ત્યારથી જ હતું. તેનું કારણ હતું માખણ. જે જન્માષ્ટમીનાં દિવસે જ પ્રસાદ રુપે ખાવાં મળતું. ત્યારે હજુ અમુલ બટરનુ અસ્તિત્વ ન હતું. હશે તો પણ મારા સુધી અવેલેબલ ન હતું. થોડા સમય પછી સ્કૂલમાં નોટબુકમાં-ચોપડીમાં મોરપીંછ રાખતો. તેનાથી વિદ્યા વધે એવું કહેતા. કૃષ્ણની આ બે આઇડેન્ટીટી એ મારા હ્રદયમાં જમાવટ કરી. પછી તો સ્વભાવ જ કૃષ્ણ જેવો બની ગયો. હેન્ડસમ પર્સનાલિટી અને દિલફેંક અદા પછી તો જોઇએ જ શું ? પણ ઉંમર વધતાં કૃષ્ણ એ મારા દિલ-દિમાગ ઉપર કબજો કરવા માંડ્યો. ફ્લર્ટિંગ (નોટ અ લુઝ કેરેકટર)ના વર્તુળ બહાર કૃષ્ણનો વ્યાપ વિસ્તરવા માંડ્યો. વાસુદેવનો પુત્ર, જશોદાનો કાનુડો, મિત્રોનો કાનજી, ગોપીનો કનૈયો, ગોપાલ, માધવ, હવેલી પંથના બાળ સ્વરૂપથી માંડીને શ્રીનાથજી સુધીનાં વિવિધ સ્વરૂપે અને નામે કૃષ્ણ પુજાય છે.કૃષ્ણ દરેક સમયમાં સાશ્વત છે. પ્રણામી, વૈષ્ણવ, નરસિંહ મહેતા, દયારામ, મીરાં, હરિન્દ્ર દવેના "માધવ ક્યાંય નથી મધુવનમાં."કે જય વસાવડાના જેએસકે સુધી કૃષ્ણ હંમેશા ચર્ચામાં રહ્યા છે.
કૃષ્ણ હિન્દી ફિલ્મના હીરોની જેમ વર્સેટાઈલ કેરેકટર છે. he can do all things. ગોપીઓ સાથે રાસ રમે છે, પોતાનાથી મોટી ઉંમરની પરણીત સ્ત્રી (રાધા) સાથે પ્રેમ કરી શકે છે, એને છોડી શકે છે, સરદાર પટેલ કે નરેન્દ્ર મોદી કરતા વધુ વિચક્ષણતાથી રાજનીતિ કરી શકે છે, એક સખા તરીકે દ્રોપદીના ચિર પુરી શકે છે, યુવાનીમાં ગોપીઓના ચિર હરી શકે છે, શિશુપાલ, કંસનો વધ કરી શકે, અર્જુનને ગીતા જ્ઞાન આપી શકે છે. વોટ અ ગ્લેમરસ કેરેકટર ! કૃષ્ણ આજે પણ એટલાં જ પ્રસ્તુત છે. એટલે જ તો વિદેશી સંસ્કૃતિના લોકો પણ કૃષ્ણથી આકર્ષાય છે. કૃષ્ણ એક મજા છે, એક મસ્તી છે,એક મિજાજ છે. કૃષ્ણની ભક્તિમાં વિહસકી જેવો નશો છે. જે તમને કૃષ્ણમય કરે છે. કૃષ્ણ એક સ્ટાઈલ આઇકોન છે.
ખરેખર મિત્રો. કૃષ્ણને પામવા ખુબ સહેલું છે. બસ કર્મ પુરી ઇમાનદારીથી કરો. બધાને શક્ય એટલો સંતોષ આપો. અને (ચંદ્રકાંત બક્ષીની ભાષામાં) દિલ ફાડીને પ્રેમ કરો ! બોલો નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયાલાલ કી.. જયશ્રી કૃષ્ણ !