જીવનની પરિક્રમા
જીવનની પરિક્રમા
જીવન બહુ મહત્વનો શબ્દ છે. સમજવા માટે આખું જીવન પણ ટૂંકું પડે. જીવનભર જીવન જીવ્યા તો કરીએ છીએ સાથે તંદુરસ્તી સારી હોવી જરૂરી છે.
વિવેકભાઈને એક દીકરો ને એક દીકરી હતા. વિવેકભાઈના પત્ની સંગીતા બેનને ગામમાં જ હોસ્પિટલે અચાનક તબિયત લથડતા જવાનુ થયું. જેથી બંને છોકરાંઓને તેના દાદા પાસે મૂકીને નીકળી ગયા. જમવાનું તો બનાવીને જ ગયા હતા. બંને બાળકો થોડા મોટા હતા તો ચિંતા કરવા જેવું કંઈ જ હતું જ નહીં. આમ પણ દાદા પાસે તો બાળકોને પણ બહુ જ ગમતું. જતા જતા બાળકોને કહેતા ગયા કે દાદાને હેરાન ના કરતા કેમ કે બંને થોડા તોફાની હતા.
દાદા પણ હોશિયાર હતા. ખબર હતી કે બંનેને એકલા મૂકીશ તો બંને ઝગડો કરશે. તેથી બપોરે જમીને દાદા કહે ચાલો આપણે બેસીને વાતો કરીએ. વાતો વાતોમા દીકરાએ પૂછ્યું દાદા તમે અમારી જેમ નાના કેમ નથી ? તમે કેમ મોટા મોટા જ થતા જાવ છો ? દીકરી અને દાદા તો હસી પડ્યા. કહ્યું કે બેટા આ તો જીવન છે. માણસનો જન્મ થતાં જ તેની વૃદ્ધિ ચાલુ થઈ જાય પછી જ્યારે તે મૃત્યુ પામે ત્યારે આ વિરામ લે. જો બેટા કોઈ પણ વ્યક્તિનો આ ધરતી પર જન્મ થાય ત્યારે તે નાનું બાળક હોય જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ બાળક મોટું થાય, સમજણું થાય. ધીમે ધીમે જુવાન અને સૌથી છેલ્લે વૃદ્ધ બની જાય. બેટા આપણે ત્યાં ત્રણ જીવનની અવસ્થા બતાવેલી છે. પહેલી બાલ્યાવસ્થા, બીજી યુવાવસ્થા અને ત્રીજી પ્રોઢાવસ્થા.
જેમ જેમ ઉંમર વધે તેમ તેમ આ અવસ્થા પણ બદલાતી જાય છે. બાલ્યાવસ્થામાં બાળકનો ઉછેર થાય બધું ઓળખતું થાય સમજતું થાય. પછી યુવાવસ્થા આવે તેમાં ભણતર, લગ્ન, નોકરી તેમજ જવાબદારી સૌથી કઠિન સાથે સાથે રંગીન સમયગાળો પણ છે. આ સમયે જ બધા મોજશોખ, હરવું ફરવું એવુ તો ઘણું જે યુવાનીમાં જ ગમે. તેમજ આ સમયે જ તેના ભવિષ્યનું ઘડતર થતું હોય છે. જેમ કે સારી નોકરી હોય, સારું કામ કાજ હોય, ઘર બંગલા હોય વગેરે દૈનિક જરૂરિયાત જો સારી મળે તો પાછળની જિંદગી પણ સારી નીકળી જાય. જો ત્યારે મોજ મસ્તીમાં સમય વેડફે તો જીવનભર કામ કરવું પડે. તકલીફો વેઠવી પડે. તેથી જ આપણે એક કહેવાય છે કે "નાનપણનું નાણું ને શિયાળાનું છાણું" પ્રોઢાવસ્થામાં ઉંમરના લીધે આરામની જગ્યાએ કામ કરવું પડે, હાથ પગ હાલતા હોય તો મંદિર જવાનું, ભગવાનનું નામ લેવાનું, તમારા જેવા છોકરાઓને વાર્તા કરવાની. આમ આ અવસ્થાએ પણ કામ ઘણા કરવા પડે. આ સાંભળી દીકરો કહે દાદા તો તો હું પણ તમારા જેવડો થઈશ ત્યારે હું પણ આમ જ મારાં બાળકોને વાર્તા કરીશ. દાદાજી અને દીકરી સાંભળીને ખડખડાટ હસી પડ્યા. આમ થોડી વાર થઈ ત્યાં તો બંને વાતો કરતા કરતા સૂઈ પણ ગયા.
આપણું જીવન પણ આવી રીતે જ છે. જેમ જેમ સમય જશે તેમ તેમ આપણો કિરદાર બદલાતો જશે અને જીવન પસાર કરતું જવાનું રહેશે. આ જ જીવનની પરિક્રમા છે. નાનપણથી ઘડપણ સુધીની.