હસ્તરેખા
હસ્તરેખા
કદાચ શ્વાસ લેવાનીય ફુરસદ નહોતી રહેતી. આઠ માણસોનો ભર્યોભર્યો પરિવાર. રીતસરની જોહુકમીનો ભોગ બનતી સુધા બે ઘડી પણ પોતાના માટે જીવી નહોતી શકતી.
નાની હતી ત્યારથી માની આંગળી છોડી નહોતી. લગભગ એમ માનો કે બસ, માનું પૂછડું. પિતાજી સ્વભાવે આકરા એટલે કંઈ પણ હોય સુધા અને તેના પિતાની વચ્ચે હંમેશા મા હોય જ. મા સાથે બજાર, મંદિર કે કોઈ સગાંસંબંધીને ત્યાં કે પછી ભુવાજીને ત્યાં જવાનું હોય સુધા આંગળીએ વળગેલી જ હોય. ભુવાજીને ત્યાં થતી વિધિઓ, ભૂત-બાધા કે માતાજીના ભણકારા બધું જ સુધા તેની નિર્દોષ નજરે જોતી રહેતી. ન સમજાય તો માને પૂછે. મા તરફથી જે જવાબ મળે એને જ સાચો માની લે. સુધા તેની માની નજરે દુનિયાને સમજવાના પ્રયત્નો કરતાં કરતાં હવે મોટી થઈ. પિતાજીએ ન્યાતમાં વટ પાડવા ખાતર આપખુદ નિર્ણય લઈ સુધાને મોટા ઘરે પરણાવી.
વિદાય વેળા માએ ખાલી એક જ વાત કહેલી, 'જો બેટા, સાસરું એ સાસરું જ હોય. કેમ રહેવું એ આપણે જાતે જ નક્કી કરવાનું હોય. હસ્તમેળાપ વખતે આપણો માત્ર હાથ આપવાનો, આપણી હસ્તરેખા આપી નૈ દેવાની.'
ત્યારે તો કંઈ સમજાયું નહોતું. પણ,
કોણ જાણે આજે સવારથી બાના શબ્દો કાનમાં પડઘાયા કરતાં હતાં.
સાસુમાએ સવારે ધૂપદીપ કર્યા, ત્યાં તો અચાનક સુધાએ ધૂણવાનું ચાલુ કર્યું.