દત્તક દેવશ્રી
દત્તક દેવશ્રી
દેવશ્રીની દસમી વર્ષગાંઠ આવી રહી હતી. તેના ઘણાં મિત્રોની દસમી વર્ષગાંઠની ઉજવણી ધામધૂમથી થઈ હતી. તેથી, તેણીની પણ ઈચ્છા હતી કે, તેની વર્ષગાંઠ સરસ રીતે ઉજવાય. દેવશ્રીએ તેના મમ્મી પપ્પાને તેની ઈચ્છા જણાવી, પરંતુ તેમણે કોઈ ઉત્સાહ ન બતાવતાં દેવશ્રીના હ્રદયને ધક્કો લાગ્યો. તેના મા બાપ લગભગ તેની કોઈ વાત ટાળતા નહીં, આથી તેના માટે આ વાત પચાવવી અઘરી હતી. એમાં પણ થોડાક મહિનાઓથી આડોશ-પાડોશમાં અને સગા-સંબંધીઓમાં થતી વાત સાંભળીને તેના બાળમાનસમાં ઉથલપાથલ મચી ગઈ હતી. સૌના મોઢે દેવશ્રીને દત્તક લીધી હોવાની વાત હતી.
દસ વર્ષના લગ્નજીવન પછી પણ આંગણામાં બાળકની કિલકારીઓની ગૂંજનો અભાવ હોવાને કારણે અમિત અને અમૃતાએ કુટુંબીઓના વિરોધ વચ્ચે, આજથી આઠ વર્ષ પહેલાં અનાથાશ્રમમાંથી બે વર્ષની ઢીંગલીને દત્તક લીધી હતી. એ સુંદર ઢીંગલીનું નામ પાડ્યું "દેવશ્રી". કુટુંબીઓએ અમિત અને અમૃતાને દત્તક દીકરો લેવા માટે સમજાવ્યું હતું. પરંતુ, તેઓએ દીકરી દત્તક લીધી અને દેવશ્રીને લાડકોડમાં ઉછેરી, જે ઘણાં લોકોની આંખોમાં કણાની જેમ ખૂંચી રહ્યું હતું.
દેવશ્રીને દત્તક લીધાના આઠેક વર્ષ પછી દેવશ્રીના શુભ પગલે અને ભગવાનની કૃપાથી અમૃતાને સારા દિવસો જવા માંડ્યા. આથી, આડોશ-પાડોશ અને સગાં-વહાલાંના મોઢે એક જ વાત હતી કે, પોતાનું સંતાન આવશે એટલે, દેવશ્રી માટેનો પ્રેમ ઓછો થઈ જશે. આ વાતો દેવશ્રીએ સાંભળી અને તેના બાળમાનસમાં ઉથલપાથલ ચાલુ થઈ. એમાં પણ દસમી વર્ષગાંઠની ઉજવણી માટે માતા પિતાએ કોઈ ઉત્સાહ ન દર્શાવતાં તેને બધાંની વાત સાચી લાગવા માંડી અને તેનું વર્તન બદલાવા લાગ્યું. અમિત અને અમૃતાને આ વાતની ખબર પડી, પરંતુ તેઓ દેવશ્રીને સમજાવવા માટેના યોગ્ય સમયની રાહ જોતા હતાં.
દેવશ્રીની દસમી વર્ષગાંઠે તેઓ તેને એક અનાથાશ્રમમાં લઈ ગયાં અને ત્યાંના બાળકો જોડે વર્ષગાંઠની ઉજવણી કરી. દેવશ્રીને તેઓએ આ જ અનાથાશ્રમમાંથી દત્તક લીધી હતી. અહીંના બાળકો જોડે ઉજવણી કરી દેવશ્રીને બહુ જ મજા આવી.
ઘરે પાછા ફરતાં અમૃતાએ દેવશ્રીને કહ્યું, "બેટા અમે તને અહીંથી જ ઘરે લાવ્યા હતાં, કારણ ભગવાને ભૂલથી અમારા ઘરને બદલે તને અહીં મોકલી દીધી હતી. હવે ભગવાનને સાચું સરનામું ખબર પડતાં, તારી જોડે રમવા માટે નાના ભાઈ કે બહેનને મોકલશે. તું અમારા માટે કાયમ અમારૂં પહેલું સંતાન રહીશ, જેણે અમારા જીવનને ખુશીઓથી ભરી દીધું છે. આજે આપણે અહીં ઉજવણી કરી, તો બધાં બાળકોને કેવું સારૂં લાગ્યું. તું આમ જ સૌના જીવનમાં ખુશી અને આનંદ ફેલાવે, બસ એ જ અમારી ઇચ્છા છે." અમૃતાની વાત સાંભળીને દેવશ્રીના બાળહૃદયમાં થોડાક સમયથી ચાલતો ખળભળાટ શમી ગયો.