દાદાજીની વાર્તા - 50
દાદાજીની વાર્તા - 50
દાદાજીએ વાતને આગળ વધારી, રાત્રે નાની વહુ પોતાના પતિ પાસે જેઠાણીની ચાડી ખાય છે, 'તમને ખબર છે ? મોટી વહુ કહેતી હતી કે તમે તો પડયા પડયા હરામનું ખાવ છો !' પતિને આશ્ચર્ય થાય છે, 'શું ખરેખર એ કહેતી હતી ? આજે જ હું મોટાભાઈને પૂછીશ. કહીશ કે ભાભીને જરા વાળજો કે મોં સંભાળીને બોલે.' પત્ની વળી વધારે ઝેર રેડે છે, 'પૂછો તો એ પણ પૂછી જોજો કે દુકાનની આવકના બધા પૈસા કયાં જાય છે ?' 'વાત તો સાચી છે. દુકાનની આવકના બધા પૈસા એમના એકલાના તો નથી જ.' પતિના પેટમાં તેલ રેડાયું. 'એમાં પૂછવાની શી જરૂર છે ? ભાભીને તો રોજ નવાં નવાં ઘરેણાં પહેરવા મળે છે અને આપણે કહીએ તો કહે છે કે, સોનું જરા સસ્તું થવા દો, પછી બનાવી દઈશું.' નાની વહુ આમ પોતાના પતિને સમજાવે છે અને મોટી વહુ પોતાના પતિને કંઈક જુદું જ કહે છે. આ રીતે કજિયાનું એક નાનું બીજ (અસંતોષ) માત્ર સામાન્ય અજ્ઞાનતાને કારણે એક મોટું વૃક્ષ બની જાય છે.
નવી આવેલી વહુની ફરજ છે કે, પોતે આવા પ્રપંચોથી દૂર રહે. દૂર રહેવાનો રામબાણ ઉપાય છે - પ્રેમ. તેને સાસરે આવ્યા પછી બધાંની સાથે પ્રેમથી વર્તવું જોઈએ. હવે આ ઘર જ અપનાવીને એને પોતાનું કરવું પડશે. જે નિર્દોષતાથી પોતે પોતાનાં મા-બાપ અને સગાં ભાઈ-બહેન સાથે વર્તતી હતી, એનો ગુસ્સો પણ પ્રેમપૂર્વક સહેતી હતી, એમનાં મેણાં સાંભળીને પણ મમત્વ રાખતી હતી, એવી જ રીતે પોતાનાં પતિના કુટુંબીજનોને એ અપનાવી લેશે તો આખું ઘર સ્મશાન બનતું અટકી જશે.
મયંક બોલ્યો, આનો મતલબ તો એ કે ઘરને સ્વર્ગ કે નર્ક બનાવવું એ નારીના હાથમાં છે. નારીએ પૂરા વિશ્વાસથી પોતાના પતિગૃહે રહેવું જોઈએ.
દાદાજી કહે, એકદમ સાચું. સ્ત્રીને પ્રેમ, ક્ષામા, ઉદારતા અને સહિષ્ણુતાની સાકાર પ્રતિમા કહેવામાં આવે છે. પોતે બહેન બનીને ભાઈ માટે પોતાના મનમાં પ્રેમનું અક્ષાય સરોવર ભરેલું રાખે છે. પત્ની બનીને પતિને ખાતર પોતાનાં મા- બાપનો ત્યાગ કરે છે. અને મા બનીને પોતાનાં સંતાન ખાતર સમગ્ર જીવનનો ત્યાગ કરે છે, આવી મમતાભરી અને માયાળુ, ત્યાગમયી અને દયાળુમૂર્તિ સ્ત્રી, નણંદ કે સાસુ બનીને કેમ પોતાનો પ્રેમ બીજાને નથી આપી શકતી ? આ રીતે જોઈએ તો બધો જ વાંક નવી પરણેલી વહુનો નથી હોતો. સાસુ અને નણંદ પણ નવવધૂને અપનાવવામાં કૃપણતાથી કામ લેતી હોય છે. કેટલીક વખત કૃપણતા સ્ત્રીઓનો પ્રાકૃતિક સ્વભાવ બની જાય છે.
મયંક કહે, ભણેલા માણસો પણ સુધરતા કેમ નહિ હોય ?
દાદાજી કહે, લેણદેણની વાત આવે છે કે તરત જ ઘરની નણંદો-છોકરીઓ ચમકી જાય છે. આટલી અસર નવી નવી પરણેલી વહુ પર નથી થતી. ધન લાલસા તો પુરુષને પણ હોય છે. પણ સ્ત્રીઓ કરતાં ઓછી, કારણ કે પોતાને પોતાની ઉપાર્જનશક્તિ પર ગર્વ હોય છેે. છતાં પણ સ્ત્રીઓ ઘણો ત્યાગ કરી શકે છે.
નવી વહુ સાચા દિલથી પ્રેમ કરે તો સાસુ-નણંદના પ્રેમમાં પણ માતા-પિતાનો વિયોગ તે ભૂલી જશે. જિંદગી આનંદમાં વીતશે. જુદું નવું ઘર વસાવવું એ ખૂબ અઘરું કામ છે.
મયંક બોલ્યો, ભગવાન ! સૌને સદ્બુદ્ઘિ દેજો.
***