ભિન્નતામાં એકતા
ભિન્નતામાં એકતા
પલકને પોતાનું શહેર છોડીને જવું જ ન હતું. પરંતુ પતિની નોકરી રેલ્વેમાં હતી તેથી મને કે કમને બીજા રાજ્યમાં જવું જ પડ્યું. જો કે રહેવા માટે સરકાર તરફથી કવાર્ટર મળી ગયેલું. જે દિવસે પલક અને એનો પતિ સામાન લઈ ને આવ્યા અને સામાન ગોઠવવાનું શરૂ કર્યું કે બાજુના ઘરમાંથી ચા નાસ્તો આવી ગયા. સાંજે કોઈક બીજાના ઘરેથી. સવારે પણ ચા નાસ્તો આવતો રહ્યો. બે દિવસમાં એમનો સામાન ગોઠવાઈ ગયો ત્યાંસુધી એમને કોઈએ રસોડું ચાલુ ના કરવા દીધું.
પલકને જેમ જેમ ઓળખાણ થતી ગઈ એમ એમ ગમવા માંડ્યું. સિંધી પડોશીને ત્યાંથી દાળ પકવાન તો દક્ષિણ ભારતીઓને ત્યાંથી ઈડલીઢોંસા આવતા. મુસ્લિમ પડોશીને ત્યાં થી સેવૈયા તો ખ્રિસ્તી પડોશીને ત્યાંથી કેક વગેરે તો પારસીને ત્યાંથી ધાનશાક. બધા એકબીજાને ત્યાં મોકલતાં. પતિ નોકરી પર જાય પછી સ્ત્રીઓ પોતપોતાની રસોઈ લઈ સાથે જ જમતાં. રજાના દિવસોમાં તો એમના પતિઓ પણ સાથે હોય.
ત્યારબાદચેટીચંદ, ગુડીપડવો, ઈદ, નાતાલ, હોળી, દિવાળી, ઉતરાયણ બધા તહેવારો બધા ભેગા થઈને ઉજવતાં. કોઈને પણ એવું લાગતું નહીં કે આ તહેવાર બીજાનો છે. એવું લાગતું હતું કે આ એક પરિવાર છે. ત્યાં કયારેય લડાઈ ઝગડા થતાં ન હતાં. બાળકો સૌથી વધુ ખુશ રહેતાં હતાં.
જયારે પલકના પતિની બદલી થઈ ત્યારે પલક ખૂબ રડતી હતી કારણ એ ભિન્નભિન્ન લોકો, ભિન્નભિન્ન ધર્મના લોકોને જ પોતાનો પરિવાર સમજતી હતી. પરંતુ એના પતિએ સમજાવ્યું કે આજ તો ભારતદેશની ખાસિયત છે કે વિભિન્ન ધર્મ તથા જુદીજુદી સંસ્કૃતિ હોવા છતાં પણ બધા વચ્ચે ઐક્ય જળવાઈ રહે છે. આપણો ભારતદેશ તો એક પરિવાર છે. માટે જ કહેવાય છે કે "મેરા ભારત
મહાન. "